રાજસ્થાનમાં કોંગીને શું લાગ્યો ઝટકો ? વાંચો
કેટલા લોકોએ પાર્ટી છોડી ?
લોકસભાની ચુંટણી જાહેર થવાની છે ત્યારે કોંગ્રેસમાંથી હિજરતનો સિલસિલો સતત ચાલુ જ રહ્યો છે . એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસના મોટા નેતાઓ સાથ છોડી રહ્યા છે. રવિવારે રાજસ્થાન કોંગ્રેસના નવ મોટા નેતાઓ સહિત 32 નેતાઓ ભાજપમાં જોડાયા હતા. . અશોક ગેહલોત સરકારમાં મંત્રી રહેલા લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવે પણ કેસરિયા કર્યા હતા. તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. ભાજપમાં જોડાનારમાં 2 પૂર્વ મંત્રી અને 4 પૂર્વ ધારાસભ્યો શામેલ છે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સીપી જોશી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા.
લાલચંદ કટારિયા એક વરિષ્ઠ જાટ નેતા છે અને અશોક ગેહલોત સરકારમાં કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રી રહી ચૂક્યા છે. કટારિયા મનમોહન સિંહ સરકારમાં કેબિનેટનો પણ ભાગ રહી ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણી બાદથી રાજ્ય કોંગ્રેસમાં વિખવાદ શરૂ થયો હતો. એજ કારણે પાર્ટીના કેટલાક નેતાઓ કોંગ્રેસમાંથી અલવિદા કહી રહ્યા છે.
રાજેન્દ્ર યાદવ પણ ગેહલોત કેબિનેટમાં ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા અને તેમની પાસે ગૃહ રાજ્ય મંત્રાલય હતું. આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ મોટા આંચકા સમાન છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રિછપાલ મિર્ધા, વિજયપાલ મિર્ધા, પૂર્વ ધારાસભ્ય અને એસસી આયોગના અધ્યક્ષ ખિલાડી બૈરવા, પૂર્વ અપક્ષ ધારાસભ્ય આલોક બેનીવાલ, પૂર્વ રાજ્ય પાર્ટી પ્રમુખ સેવા દળ સુરેશ ચૌધરી, રામપાલ શર્મા અને રિઝુ ઝુનઝુનવાલા સહિત અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે.
આ સિવાય રામનારાયણ કિસાન, અનિલ વ્યાસ, ઔંકાર સિંહ ચૌધરી, કૃષક સમાજ ગોપાલ રામ કુકણા, અશોક જાંગિડ, પ્રિયા સિંહ, સુરેશ ચૌધરી, રાજેન્દ્ર પરસવાલ, શૈતાન સિંહ મેહરડા, રામનારાયણ ઝાઝડા, હરજીરામ બુરડક પણ ભાજપમાં જોડાયા છે.
