દેશમાં બ્લડ વેચવા અંગે મોદી સરકારે શું લીધા પગલાં ? જુઓ
દેશમાં અનેક ગરીબ પરિવારો અણીના સમયે પોતાના દર્દી માટે લોહી ખરીદી શકતા નથી અને એમના ભાગે નિરાશા જ રહે છે. દેશમાં અત્યારે લોહીનો ધંધો બેફામ બન્યો છે અને તેના પર લગામ નાખવા માટે મોદી સરકારે ખૂબ જ મહત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો છે કે દેશમાં હવે હોસ્પિટલો કે ખાનગી બ્લડ બેન્કો લોહીનો ભારે ચાર્જ વસૂલી નહીં શકે અને ફક્ત પ્રોસેસિંગ ફી વસૂલી શકશે. દર્દીઓ માટે આ નિર્ણય આશીર્વાદરૂપ છે. લોહીનો ધંધો કરનારા લોકો માટે રેડ સિગ્નલ છે.
ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ આ બારામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેખિતમાં સૂચના મોકલી હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ નોટ ફોર સેલ તેવું કંટ્રોલરનું વલણ રહ્યું છે. આ પગલાંથી સેંકડો જરૂરિયાનમંદ લોકોને રાહત મળશે. લોકોને લોહી લેવા માટે હજારો રૂપિયાનો બંદોબસ્ત કરવાની જરૂર નહીં પડે.
આદેશ મુજબ જે ચાર્જ વસૂલાતા હતા તે હવે વસૂલી નહીં શકાય. સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી છે. નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ અપાયો છે.
CDSCO વતી જારી કરાયેલા લેટરમાં જણાવાયું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટીની 62મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવે લોહી વેચી નહીં શકાય. હોસ્પિટલ અને બ્લડ બેન્ક લોહી માટે ફક્ત પ્રોસેસિંગ ફી ઉઘરાવી શકશે.
આમ તો હોસ્પિટલ અને બ્લડ બેન્ક આશરે 2થી 6 હજાર રૂપિયા પ્રતિ યૂનિટ વસૂલે છે. લોહીની અછત કે દુર્લભ બ્લડ ગ્રૂપ હોય તો ફી વધુ થાય છે પણ નવા નિયમો અનુસાર હવે ફક્ત પ્રોસેસિંગ ફી જ વસૂલી શકાશે જે 250થી 1550 રૂપિયાની વચ્ચે થાય છે. પ્લાઝ્મા તથા પ્લેટલેટ માટે 400 રૂપિયા પ્રતિ પેકની ફી લેવાશે.
બ્લડ માટેની ફીને લઈને સરકારે જે નિર્ણય લીધો છે તે દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિતો માટે સંજીવની છે જેમને વર્ષમાં અનેકવાર લોહી બદલવું પડે છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને ગંભીર બીમારીઓની સર્જરી કરનારા લોકોને પણ ગમે ત્યારે લોહીની જરૂર પડે છે એવામાં લોહી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો જીવ બચાવવો સરળ બની જાય છે.