મમતા સરકારને શું લાગ્યો મોટો ઝટકો ? જુઓ
લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેની વચ્ચે જ બંગાળની મમતા સરકારને કોલકત્તા હાઇકોર્ટ તરફથી બુધવારે મોટો ઝટકો લાગી ગયો હતો. અદાલતે રાજ્ય સરકાર દ્વારા અપાયેલ તમામ ઓબીસી સર્ટિ રદ કરતો આદેશ આપ્યો હતો. 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટિફિકેટને ગેરકાયદે જાહેર કરાયા હતા. જો કે મમતાએ લડાયક વલણ અપનાવીને એવી પ્રતિક્રિયા આપી હતી કે હું આ આદેશને માનતી નથી. ઓબીસી સર્ટિ આપવાની પ્રક્રિયાને પડકારતી અરજી પર આ ચુકાદો અપાયો હતો.
કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે ચુકાદો સંભળાવાયા બાદ રદ કરાયેલા સર્ટિફિકેટનો રોજગારની પ્રક્રિયામાં ઉપયોગ નહીં કરી શકાય. હાઈકોર્ટના આ આદેશથી આશરે 5 લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ થઇ ગયા છે. જોકે જે લોકો આ સર્ટિફિકેટથી ચુકાદા પહેલા લાભ લઈ ચૂક્યા છે તેમના પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય.
કોર્ટે આદેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ના આધારે ઓબીસીની નવી યાદી પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ તૈયાર કરશે. કોર્ટે 2010 પછી બનેલી ઓબીસી યાદીને ગેરકાયદેસર જાહેર કરી છે.
હાઈકોર્ટે જેના આધારે આ આદેશ આપ્યો હતો તે કેસ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો. વાદી તરફથી વકીલ સુદીપ્તા દાસગુપ્તા અને વિક્રમ બેનરજી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે ડાબેરી મોરચાની સરકારે 2010માં વચગાળાના અહેવાલના આધારે પશ્ચિમ બંગાળમાં ‘અન્ય પછાત વર્ગો’ની રચના કરી હતી. તે કેટેગરીને ‘ઓબીસી-એ’ નામ આપવામાં આવ્યું હતું. જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે ઓબીસી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પડકારતી જાહેર હિતની અરજી પર આ ચુકાદો આપ્યો હતો.