અનામતના મુદ્દા પર શું થયું દંગલ ? જુઓ
કયા નેતાએ શું કહ્યું ?
અનામતના મુદ્દા પર ફરી ટોચના નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ થયું હતું. મધ્ય પ્રદેશના ધારમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મુસ્લિમ અનામત મામલે કોંગ્રેસની સથે-સાથે રાજદ સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અનામત અંગે આ લોકોના ખતરનાક ઈરાદા ખુલ્લા પડી ગયા છે.
લાલુએ મંગળવારે કહ્યું હતું કે મુસ્લિમોને અનામત મળવી જ જોઈએ. આ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસ તો ઓબીસી ક્વોટાને લૂંટીને મુસ્લિમોને અનામત આપવા માગે જ છે પરંતુ તેની સાથે તેના સાથી પક્ષો પણ આ મુદ્દે સમાજમાં ભાગલા પાડનારા નિવેદનો આપી રહ્યા છે. મુસ્લિમ અનામત પર આરજેડી નેતાના નિવેદન પર કોંગ્રેસ મૌન છે.
વડાપ્રધાન મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, બિહારમાં જે નેતા ઘાસ-ચારો ચરી જવા માટે ઓળખાય છે અને જામીન પર જેલની બહાર છે તેમણે તો કોંગ્રેસ કરતા એક ડગ આગળ વધીને કહી દીધું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ. આનો અર્થ શું છે? શું એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત મુસ્લિમોને આપી દેવું જોઈએ?
ખતરનાક ઈરાદા ખુલ્લા પડ્યા
વડાપ્રધાને કહ્યું કે, કોર્ટે પશુઓના ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને દોષી ઠેરવ્યા છે પરંતુ વોટ બેંક માટે સમાજના વિભાજનની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે, આ લોકો ઓબીસી અનામતને કાપીને મુસ્લિમોને અનામત આપવા માગે છે. પરંતુ આવા નિવેદનોએ તો વધુ ખતરનાક ષડયંત્રનો ખુલાસો કરી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ આ નિવેદન એ દિવસે આપી રહ્યા છે જે દિવસે વોટિંગ થયું છે. . આ લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા છે.
લાલુએ મુસ્લિમો માટે અનામતની વાત કરી
મંગળવારે રાજદ સુપ્રીમો લાલુ યાદવે પત્રકારો સાથે વાત કરતા મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ તો બંધારણને જ ખતમ કરવા માગે છે, તેઓ લોકતંત્રને જ સમાપ્ત કરી દેવા માગે છે. લાલુ પ્રસાદે કહ્યું કે, જનતાને તેમની બધી વાતો સમજાઈ રહી છે. આ દરમિયાન લાલુ પ્રસાદે કહ્યું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ.