સ્વાતિ મામલે શું નવાજૂની થઈ ? જુઓ
લોકસભા ચૂંટણીની વચ્ચે દિલ્હીમાં આપ અને બીજેપી વચ્ચે ઘમાસાન શરૂ થઇ ગયુ છે. દિલ્હીમાં આપ નેતા સ્વાતિ માલિવાલ મામલે તપાસ તેજ થઇ છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના મામલામાં દિલ્હી પોલીસ રવિવારે સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. ત્યાંથી સીસીટીવી અને ડીવીઆર જપ્ત કરી લીધા હતા. પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ પ્રિન્ટર અને લેપટોપ લઈને ઘરમાં ગઈ હતી.
રવિવારનો નાટકીય ઘટનાક્રમ રહ્યો હતો. શનિવારે અરવિંદ કેજરીવાલે કરેલી જાહેરાત મુજબ તેઓ પોતાના નેતાઓ સાથે ભાજપના વડા મથક તરફ કૂચ કરી ગયા હતા પણ પોલીસે એમને જવા જ દીધા નહતા અને નિરાશ થઈને બધા પાછા ફર્યા હતા. કેજરીવાલે આ માટે કોઈ મંજૂરી લીધી નહતી. બીજી બાજુ કેજરીવાલના પીએ વિભવકુમારને કોર્ટે 5 દિવસની રિમાન્ડ પર પોલીસને સોંપી દીધો હતો.
દરમિયાનમાં દિલ્હી પોલીસે રવિવારે કેજરીવાલના ઘરે પહોંચીને તપાસ કરી હતી ઘરમાં હાજર સીસીટીવી અને ડીવીઆર જપ્ત કરી લીધા હતા. દિલ્હી પોલીસે કૉર્ટમાં આ ડીવીઆરનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ દરમિયાન સીએમ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર સુધી કૂચ કરીને તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા.
વિભવ 5 દિવસની રિમાન્ડ પર
દિલ્હીની કોર્ટે વિભવકુમારને 5 દિવસની રિમાન્ડ પર સોંપી દીધો હતો. પોલીસે રિમાન્ડ માટેની અરજીમાં કહ્યું હતું કે વિભવ કુમાર શનિવારે સીએમ આવાસ પર હાજર હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ ટાળતા જોવા મળ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ગુનાના સ્થળે તેમની હાજરી ઈલેક્ટ્રોનિક સાધનો સહિતના મહત્વના પુરાવા સાથે ચેડાં કરવાની પ્રબળ શક્યતા ઊભી કરે છે.” આરોપી પ્રભાવશાળી વ્યક્તિ છે અને નવ વર્ષથી વધુ સમયથી સત્તાવાર હોદ્દા પર કામ કરી રહ્યો છે, તેથી તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અને દબાણ કરી શકે છે.
કૂચનો ડ્રામા નિષ્ફળ થયો
અરવિંદ કેજરીવાલે શનિવારે એવી જાહેરાત કરી હતી કે રવિવારે અમે બધા આપના નેતાઓ ભાજપના મુખ્ય કાર્યાલયે કૂચ કરી જાશું અને બધાની ધરપકડ કરી લેવા જણાવશું. આમ કહીને એમણે વિરોધ પ્રદર્શનનો સંકેત આપી દીધો હતો પણ રવિવારે એમના કાફલાને કાર્યાલયે જવાની મંજૂરી અપાઈ નહતી અને બધા નિરાશ થઈને પાછા ફર્યા હતા. કેજરીવાલ આપની ઓફિસ પર ગયા હતા અને ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.