બિહારમાં શું બની દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો
બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના બનતા હાહાકાર મચી ગયો હતો. ઝેરી દારૂ પીવાથી સાતથી વધુ લોકોના મોત થતાં ભારે ચકચાર મચી ગઈ હતી અને સરકારે પણ રિપોર્ટ માંગ્યો હતો. આ લઠ્ઠાકાંડમાં 12થી વધુ લોકો બીમાર પડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રહી રહીને પોલીસ ધંધે લાગી ગઈ હતી.
બિહારના સિવાન જિલ્લાના ભગવાનપુર વિસ્તારમાં સ્થિત માધર ગામમાં ઝેરી દારૂ પીવાથી આ મોત થયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ બાબતએ પોલીસે તપાસ હાથ ધરી હતી અને દારૂ ક્યાં બન્યો હતો અને ક્યાં વેચાયો હતો તેની જાણકારી મેળવાઈ રહી છે.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. વધુ તપાસ હાથ ધરવા ડીએમ અને એસપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસના ભયથી ગ્રામજનો ઝેરી દારૂથી મોત થયુ હોવાની માહિતી છુપાવી પણ રહ્યા હતા. જેના પગલે એક પરિવારે તો પોલીસની જાણ બહાર બારોબાર મૃતદેહનો અગ્નિદાહ કરી દીધો હતો.
ઝેરી દારૂ પીવાથી બે લોકોએ પોતાના આંખની દ્રષ્ટિ ગુમાવી હોવાની અહેવાલો પણ બહાર આવ્યા હતા. મશરકના બરાહીપુર ગામમાં આ ઝેરી દારૂ પીવાથી એકનું મોત અને બે લોકોની આંખો છીનવાઈ ગઈ છે. બેલાસપુરીમાં પણ ત્રણ મોત થયા હોવાની ચર્ચા છે. પોલીસે બે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ કૌડિયા વૈશ્ય ટોળાના અરવિંદ સિંહની અંતિમક્રિયા રાતોરાત જ પરિવારજનો અને ગ્રામજનોએ ભેગા મળી પતાવી દીધી હતી.