બંધારણમાંથી ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
સુપ્રીમ કોર્ટનો ચુકાદો :ભાજપના પૂર્વ સાંસદ સ્વામી સહિતના લોકોની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે બંધારણ દિવસ પહેલા સોમવારે મોટો નિર્ણય આપતાં બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ ‘સમાજવાદી’ અને ‘પંથ નિરપેક્ષ’ શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. આ બંને શબ્દો 1976માં બંધારણના 42મા સુધારા પછી પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ મુદ્દા પર પહેલ પણ ઘણી દલીલબાજીઓ થઈ હતી અને ગરમ ચર્ચાઓ થઈ હતી પણ તેનું પણ
સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારે કહ્યું કે, સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે. જોકે, કોઈપણ સુધારાથી બંધારણના મૂળ તત્વને બદલવું જોઈએ નહીં. ભાજપના પૂર્વ સાંસદ સ્વામી અને અન્ય વકીલો દ્વારા થયેલી અરજીઓ અદાલતે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ શબ્દોને માત્ર 26 નવેમ્બર 1949ની પ્રસ્તાવના જેવી બનાવવા માટે પ્રસ્તાવનામાંથી કાઢી ન શકાય. સાચી વાત એ છે કે, 26 નવેમ્બર 1949ના રોજ દેશની જનતાને બંધારણ સોંપવામાં આવ્યું હતું. પરંતુ બંધારણના સ્વીકારની તારીખ કલમ 368 હેઠળ આપવામાં આવેલા અધિકારોને છીનવી શકે નહીં. સુબ્રમણ્યમ સ્વામી, સામાજિક કાર્યકર્તા બલરામ સિંહ અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, 42માં સુધારા બાદ બંધારણના ઘડવૈયાઓની મૂળ દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ છે.
આ સાથે તેમણે કહ્યું કે, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો 1976માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા અને 1949માં બંધારણ અપનાવવામાં આવ્યું હતું તે હકીકતથી કોઈ ફરક પડતો નથી… જો આ દલીલો જે અગાઉના કેસોમાં પ્રવર્તતી હતી તે સ્વીકારવામાં આવે તો તે તમામ સુધારાઓ પર લાગુ થશે. સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે, બંધારણ અપનાવવાની તારીખે જે પ્રસ્તાવના હતી તેને બદલવામાં આવી હતી. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, તેમને સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો સામે કોઈ વાંધો નથી પરંતુ જે ગેરકાયદેસર રીતે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના પર તેમને વાંધો છે.