ઔરંગઝેબ વિવાદ અંગે સંઘ પરિવારના હોસબોલેએ શું કહ્યું ? વાંચો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ વક્ફ સુધારા બિલથી લઈને ઔરંગઝેબ અને સીમાંકન સહિત અનેક મુદ્દે નિવેદન આપ્યું હતું. ઔરંગઝેબ વિવાદ મુદ્દે તેમણે કહ્યું કે, ‘આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાને આદર્શ બનાવવા જોઈએ કે સ્થાનિકોને માન આપવું જોઈએ.’ આ ઉપરાંત તેમણે વક્ફ બિલ પર કહ્યું કે, આપણે જોઈશું કે સરકાર શું કરે છે. સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા રવિવારે બેંગલુરુમાં સંપન્ન થઈ હતી. આ તકે હોસબોલેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ઔરંગઝેબ વિવાદ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ભારતના વિરોધી રહ્યા છે તેમને આઈકોન ન બનાવી શકાય. ગંગા-જમના સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી?
જો દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે, તો તેનો કોઈ અર્થ તો છે ને? તો જે કોઈ આપણી સંસ્કૃતિ વિશે વાત કરશે, આપણે તેનું પાલન કરીશું.’ આમ તો મોગલ બાદશાહો સાથે પણ સ્વતંત્રતાની લડાઈ થઈ હતી. શિવાજી અને મહારાણા પ્રતાપે આ લડાઈ લડી હતી.
સીમાંકન અંગે હોસાબલેએ કહ્યું, ‘વસ્તી ગણતરી શરૂ થવા દો. સીમાંકન પણ થવા દો, પછી આપણે જોઈશું. જો સંઘના કોઈપણ વ્યક્તિ કે કાર્યકરને યોગ્યતાના આધારે રાજકારણી તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી. આમાં સંઘની કોઈ ભૂમિકા નથી.’
મુસ્લિમોને કોન્ટ્રાક્ટમાં 4 ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. હોસબોલેએ જણાવ્યું હતું કે, ‘ભારતીય બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતાં.’