શું કહ્યું વડાપ્રધાને મન કી બાતમાં, શું અપીલ કરી ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 107મા એપિસોડમાં વોંકલ ફોર લોકલ અભિયાનની વાત કરી હતી. આ ઊપરાંત અનેક મહત્વના મુદ્દા પર એમણે સંબોધન કર્યું હતું. તેમણે 26/11ના મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારાઓને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એમણે લગ્નની સિઝનમાં પણ સ્થાનિક ચીજોની ખરીદી કરવાની લોકોને અપીલ કરી હતી. તહેવારોમાં લોકોએ મોટા પાયે સ્થાનિક ઉત્પાદનની ખરીદી કરી હતી. વડાપ્રધાને એવો સવાલ પણ કર્યો હતો કે શું વિદેશમાં જઈને લગ્ન કરવા જરૂરી છે ?
વડાપ્રધાને દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આજનો દિવસ 26 નવેમ્બર આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આ દિવસે જ દેશમાં સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઈ અને સમગ્ર દેશને ડરાવી દીધો હતો, પરંતુ તે ભારતની તાકાત છે કે અમે તે હુમલામાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમત સાથે આતંકવાદને કચડી રહ્યા છીએ. હું મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મોદીએ વિદેશમાં લગ્નના વધતા જતા રિવાજ પર પણ લોકોને સવાલો પૂછ્યા. તેમણે કહ્યું, હાલના દિવસોમાં કેટલાક પરિવારોમાં લગ્ન માટે વિદેશ જવાનો ટ્રેન્ડ બની ગયો છે. શું આ જરૂરી છે? જો આપણે ભારતની ધરતી પર, ભારતના લોકો વચ્ચે લગ્ન ઉજવીએ તો દેશનો પૈસો દેશમાં જ રહેશે. તમારા લગ્નમાં દેશની જનતાને કેટલીક સેવા કરવાની તક મળશે. નાના ગરીબ લોકો પણ તેમના બાળકોને તમારા લગ્ન વિશે કહેશે. તેમણે વોકલ ફોર લોકલનો પણ ઉલ્લેખ કર્યો હતો.