વડાપ્રધાને બિહારમાં શું કહ્યું ?
કોંગ્રેસ પર શું મૂક્યો આરોપ ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારમાં બે શહેરોમાં સભા સંબોધી હતી અને આક્ષેપ કર્યો હતો કે જો બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ન હોત તો પંડિત જવાહરલાલ નેહરુએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતની મંજૂરી ન આપી હોત. કોંગ્રેસ પહેલાથી જ તેનો હક મારી રહી છે.
વડા પ્રધાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ ” ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણની રાજનીતિ અને સનાતન વિરોધી વિચારસરણી સાથે ઊભું છે અને આ બધાને 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા સાથે મોટો ફટકો પડશે.
બિહારના પૂર્વ ચંપારણ સંસદીય ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે નહેરુજીથી માંડીને રાજીવ ગાંધી સુધીના આ પરિવારના તમામ વડાપ્રધાનોએ ઓબીસી અનામતનો વિરોધ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ પાસે આજે માત્ર એક જ વોટબેંક બચી છે અને તેને ખુશ કરવા તેઓ પ્રયાસ કરે છે અને તેઓ ઓબીસીનો હક છીનવી લેવા માંગે છે.
10 વર્ષ પર નજર કરો
તેમણે કહ્યું, “મોદીનો ટ્રેક રેકોર્ડ તમારી સામે છે. છેલ્લા 10 વર્ષોમાં, અમને લગભગ ચારસો સાંસદોનું સમર્થન મળ્યું છે, જેનો ઉપયોગ પછાત અને વંચિત લોકોને સશક્ત બનાવવા માટે કરવામાં આવ્યો છે. એનડીએએ પહેલા દલિત પુત્ર અને પછી આપણા દેશની આદિવાસી પુત્રીને બંધારણના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર બેસાડી.
ઓબીસીને અનેક લાભ આપ્યા
અમારી સરકાર છે જેણે પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપ્યો હતો, મોદીએ કહ્યું, “પહેલાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને સૈનિક શાળાઓમાં કોઈ ઓબીસી અનામત ન હતું, મોદી સરકારે આરક્ષણ લાગુ કર્યું. અમે મેડિકલ અભ્યાસમાં પણ સેન્ટ્રલ ક્વોટામાં પહેલીવાર ઓબીસી આરક્ષણ લાગુ કર્યું. ભાજપ-એનડીએના શાસનમાં એસસી, એસટી અને ઓબીસી સૌથી વધુ સુરક્ષિત છે. સામાજિક ન્યાયની આવી દરેક ગેરંટી પૂરી કરવા માટે તમારે કેન્દ્રમાં એક મજબૂત મોદી સરકાર બનાવવી પડશે.
હું બેડ રેસ્ટ પર નહીં જાઉ
મોદીએ આડકતરી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો ચાંદીની ચમચી સાથે જન્મે છે તેમને ખબર નથી હોતી કે મહેનત શું છે. મેં સાંભળ્યું છે કે અહીં કોઈ એવું કહી રહ્યું છે કે 4 જૂન પછી મોદી ‘બેડ રેસ્ટ’ પર જશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, હું માત્ર એટલું જ ઈચ્છું છું કે માત્ર મોદી જ નહીં, દેશના કોઈપણ નાગરિકના જીવનમાં ‘બેડ રેસ્ટ’ની સ્થિતિ ન આવે.”