ધાર્મિક દબાણો અંગે ગુજરાત હાઇ કોર્ટે શું કહ્યું ? વાંચો
હવે ક્યારે આ મુદ્દે સુનાવણી ?
ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળો પર ખડકાઈ ગયેલા ગેરકાયદે ધાર્મિક સ્થાનોને સમયમર્યાદામાં રહીને તબક્કાવાર હટાવવા અંગે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર હાઇ કોર્ટ સખત બની ગઈ હતી. અદાલતે આ બાબતએ ગૃહ સચિવનો જવાબ માંગ્યો હતો. આ મામલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.
હાઇ કોર્ટે ગૃહ સચિવને એમ પણ કહ્યું હતું કે ગેરકાયદે ધાર્મિક સ્થળો હટાવવા અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ તમારી સામે શા માટે અમે પગલાં ના લઈએ ? મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળની બેન્ચે આ મામલે ગુરુવારે સુનવણી કરી હતી. અદાલતે આ મામલે વધુ સુનવણી 22 એપ્રિલ પર રાખી હતી. ગુરુવાની સુનાવણીમાં કોર્ટે ગૃહ સચિવની ઝાટકણી કાઢી હતી.
રાજ્યમાંથી જાહેર સ્થળો પર આવેલા ધાર્મિક સ્થળો ખસેડવા અંગે ગૃહ ખાતાએ લીધેલા પગલાં અંગે માંગવામાં આવેલી વિગતોને પગલે ગૃહ ખાતા દ્વારા અધૂરી એફિડેવિટ દાખલ કરાઇ છે તેમ કહીને અદાલતે તેની સામે ભારે નારાજી દર્શાવી હતી.
એફિડેવિટમાં ગૃહ ખાતાએ એવું કારણ આપ્યું હતું કે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે અમારે રેવન્યુ ખાતા સાથે સલાહ મસલત કરવી પડશે કારણ કે જ્યાં આવા સ્થાનો બંધાયા છે તે જમીન રેવન્યુ ખાતા હસ્તક આવે છે. શહેરી વિકાસ ખાતા અને હાઉસિંગ ખાતા હસ્તક આવે છે. આ કારણ અંગે બેન્ચે નારાજી વ્યક્ત કરી હતી.
અદાલતે આવા નજીવા અને વ્યર્થ કારણો નહીં આપવાની અને સંપૂર્ણ વિગતો સાથે એફિડેવિટ કરવાની સૂચના આપવા સાથે વધુ સુનાવણી 22 એપ્રિલ પર રાખી હતી અને ગૃહ સચિવને ભારે લપડાક લગાવી હતી.