હીંડનબર્ગ અહેવાલ અંગે ભાજપે કોંગ્રેસ વિષે શું કહ્યું ? કેવો મૂક્યો આરોપ ?
ભાજપે હિંડનબર્ગ રિપોર્ટને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ રિપોર્ટ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. ભાજપના નેતાએ ચુંટણીની હાર બાદ તેને વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ દેશને આર્થિક રીતે બરબાદ કરવાનો પ્રયાસ છે. તેમણે આ માટે કોંગ્રેસને સીધી રીતે જવાબદાર ગણાવી કહ્યું હતું કે શેરબજાર ક્રેશ કરાવવાનું કોંગ્રેસનું ષડયંત્ર છે. નામ લીધા વિના એમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો.
એમણે કહ્યું કે સેબીના વડાએ રિપોર્ટમાં લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે. કોંગ્રેસ હિંડનબર્ગ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે જેઓ પાસે ટૂલકીટ છે તેમને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ દેશવિરોધી ટૂલકીટમાં ભાગીદાર છે.
પ્રસાદે એવો આઓપ પણ મૂક્યો હતો કે શેર બજારને ક્રેશ કરાવવાનું કોંગ્રેસનું કાવતરું છે. કોંગ્રેસને ભારતથી આટલી બધી નફરત શા માટે છે તે સમજાતું નથી. વાસ્તવમાં મનમોહન સરકારમાં નકરા ગોટાળા જ થયા હતા તો ત્યારે ટૂલકીટ કેમ નહોતા આવ્યા ?
હિંડનબર્ગનો ભારત વિરોધી એજન્ડા
પ્રસાદે કહ્યું કે હિંડનબર્ગના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે આ એજન્ડા વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ભારતને નફરત કરી રહી છે અને દેશ કોંગ્રેસ પાર્ટીને નફરત કરી રહ્યો છે. હિંડનબર્ગના લોકો ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. આ શેરબજારને ક્રેશ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ અદાણીની તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરે; કોંગ્રેસ
દરમિયાનમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ હીંડનબર્ગના અહેવાલ અંગે પોતાના હુમલા ચાલુ જ રાખ્યા હતા અને સરકારની આલોચના સાથે સુપ્રીમ કોર્ટને એવો આગ્રહ કરાયો હતો કે અદાલતે અદાણી સામેના આરોપોની તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવી જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. રવિવારે પણ કોંગ્રેસના નેતાઓએ જેપીસી દ્વારા તપાસની માંગણી કરી હતી. ખડગે અને જયરામ રમેશે એમ કહ્યું હતું કે અદાણી જુથ સાથે સેબીના વડાની ભાગીદારી મોટી ચિંતાનો વિષય છે. સરકાર અદાણીને બચાવી રહી છે. સેબીના વડાએ રાજીનામું શા માટે આપ્યું નથી તેવો સવાલ પણ નેતાઓએ કર્યો હતો.
