શરદ પવારે વડાપ્રધાન વિષે શું કહ્યું ? જુઓ
મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે ફરી એકવાર વડાપ્રધાન મોદી સામે પ્રહારો કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના ભાષણોમાં તથ્યો અને વાસ્તવિકતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે. મેં આજ સુધી આવા વડાપ્રધાન જોયા નથી જેમના ભાષણો તથ્યો અને વાસ્તવિકતાથી દૂર હોય છે.
શરદ પવારે કહ્યું કે નરેન્દ્ર મોદી મને અને ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવીને જ સંતુષ્ટ છે. પવારે એવો પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરતા નથી પરંતુ તેમનું ધ્યાન ભટકાવવામાં જ વ્યસ્ત રહે છે.
મહારાષ્ટ્રમાં પાંચ તબક્કાની લોકસભા ચૂંટણી પર આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ‘આ એટલા માટે છે કે મોદી શક્ય તેટલું પ્રચાર કરી શકે… સત્તામાં રહેલા લોકો ચિંતામાં છે. પવારે કહ્યું કે વડાપ્રધાન મોદી વારંવાર કહી રહ્યા છે કે જો વિપક્ષનું ગઠબંધન સત્તામાં આવશે તો તે ધર્મના આધારે અનામત લાવશે, જે માત્ર સામાજિક તણાવ પેદા કરવાનો પ્રયાસ છે.
પવારે કહ્યું, અમે આવું ક્યારેય કહ્યું નથી. આ મોદીનું સર્જન છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શરદ પવાર પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક ‘ભટકતી આત્મા’ છે, જો તેને સફળતા નહીં મળે તો તે બીજાના સારા કાર્યોને બગાડે છે. મહારાષ્ટ્ર તેનો ભોગ બન્યો છે. પણ આજે તે બદલાઈ ગયો છે અને પહેલા જેવો નથી. એટલું જ નહીં, એક ભાષણમાં શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદીના શાસનની તુલના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ કરી હતી.