મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? મહિલાઓ માટે શું કરી જાહેરાત ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક દિવસ માટે મહિલાઓને સોંપવાની જાહેરાત કરી હતી. જેથી મહિલાઓ પોતાની વાત અને વિચારો દુનિયા સમક્ષ રજૂ કરી શકે. વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે.
સાથોસાથ એમણે દેશમાં વધી રહેલી સ્થૂળતાની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે દર ૮ માંથી ૧ વ્યક્તિ સ્થૂળતાનો શિકાર છે. એમણે એવી સલાહ આપી હતી કે ખાવાના તેલમાં ૧૦ ટકાનો ઘટાડો કરવો જરૂરી છે. આ ઉપરાંત અંતરીક્ષ ક્ષેત્રે દેશની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એવી માહિતી આપી હતી કે છેલ્લા ૧૦ વર્ષોમાં ૪૬૦ સેટેલાઈટ લોન્ચ કરાયા છે અને આ દિશામાં ભારતનો દુનિયામાં પ્રભાવ વધી ગયો છે .
સોશિયલ મીડિયા એકાઉન્ટ?
મોદીએ કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે. આ વખતે મહિલા દિવસ નિમિત્તે હું એક એવી પહેલ શરૂ કરવા જઈ રહ્યો છું જે આપણી નારી શક્તિને સમર્પિત હશે. આ વિશેષ અવસર પર હું મારા X, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને દેશની અમુક પ્રેરણાદાયી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઈ રહ્યો છું.
વડાપ્રધાને આગળ જણાવ્યું કે, ‘એવી મહિલાઓ કે, જેમણે જુદા-જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. આઠમી માર્ચે તેઓ પોતાના કાર્યો અને અનુભવો દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે. પ્લેટફોર્મ ભલે મારૂ હશે, પરંતુ ત્યાં અનુભવ, પડકારો અને ઉપલબ્ધિઓ આ મહિલાઓની હશે. જો તમે પણ અવસરનો લાભ મેળવવા માંગતા હોવ તો નમો એપ પર બનાવેલા એક વિશેષ ફોર્મના માધ્યમથી જોડાઈ શકો છો.’