કેજરીવાલે જેલ અંગે શું કહ્યું ? વાંચો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરીને એમ કહ્યું હતું કે લોકોના ભલા માટે કામ કરવા બદલ આપણે જેલમાં જવું જ પડશે. પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા એમણે કરી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બંને બેઠકોમાં દેશભરના પાર્ટીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જ્યારે પંજાબના સીએમ ભગવંત માન અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો. સંદીપ પાઠક ખુદ હાજર રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે. અમે એ કામ કરી બતાવ્યુ છે જે અન્ય પાર્ટીઓ 75 વર્ષમાં પણ ન કરી શકી. છેલ્લા બે વર્ષમાં પંજાબમાં કરવામાં આવેલા ‘આપ’ સરકારના કામ એ દર્શાવે છે કે જો પૂર્ણ રાજ્યમાં અમારી સરકાર બને તો અમે ખૂબ જ ઝડપથી કામ કરી શકીએ છીએ.
કેજરીવાલે આગળ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી એન્ટ્રી કરી છે. દેશમાં પહેલી વખત વિરોધી પક્ષો શાળા-હોસ્પિટલના મુદ્દાઓ પર વાત કરવા મજબૂર બન્યા છે. હવે તો આ લોકોએ અમારા શબ્દ ‘ગેરંટી’ અને ‘મેનિફેસ્ટો’ પણ ચોરી લીધા છે. હવે એ લોકો પણ ‘મોદીની ગેરંટી’ અને ‘કોંગ્રેસની ગેરંટી’ કહેવા લાગ્યા છે.
આ લોકોએ જનતાને ગેરંટી તો આપી પરંતુ કોઈએ તે ગેરેંટી પૂરી ન કરી. કારણ કે તેમનો ઈરાદો સારો ન હતો જ્યારે અમે અમારી બધી ગેરંટી પૂરી કરી રહ્યા છીએ. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે અમારા પાંચ નેતાઓ જે જેલમાં છે તે અમારા હીરો છે અને અમને તેમના પર ગર્વ છે. જો તમે બાળકોને સારું શિક્ષણ આપવાની અને ગરીબોને મફત સારવાર આપવાની વાત કરો છો તો તમારે જેલમાં જવું જ પડશે અને આપણે આ માટે તૈયાર રહેવું પડશે.