ઇઝરાયલ, હમાસના યુધ્ધ અંગે ઈમામ બુખારીએ શું કહ્યું ? જુઓ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુદ્ધને ખતમ કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બધા મુસ્લિમ દેશ આ મામલે ફેલ થઈ ચૂક્યા છે.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે નરેન્દ્ર મોદીને ઈઝરાયેલ પર રાજદ્વારી દબાણ બનાવવાની અપીલ કરતા બુખારીએ કહ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં મુસ્લિમ જગત પોતાની જવાબદારી નથી નિભાવી શક્યું. તેમણે કહ્યું છે કે યુદ્ધના કારણે 21 હજાર 300 થી વધુ પેલેસ્ટિનિયનના મોત થયા છે અને માનવીય સંકટ ઉભું થયું છે.
બુખારીએ એક નિવેદનમાં કહ્યું કે, પેલેસ્ટાઈનનો મુદ્દો એક એવા સ્તરે પહોંચી ગયો છે જ્યાં તેને ‘ટુ નેશન્સ થિયરી’ના આધારે સંયુક્ત રાષ્ટ્ર, આરબ લીગ અને ખાડી સહયોગ પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવો અનુસાર તેનો તાત્કાલિક અને કાયમી ઉકેલ કરવો જોઈએ.
બુખારીએ વિશ્વભરના મુસ્લિમ દેશો પર આ મામલે સમાધાનમાં નિષ્ફળ રહ્યા હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ જગત આ મામલે પોતાની જવાબદારીઓને પૂરી નથી કરી શક્યું. મુસ્લિમ જગતે જે કરવું જોઈએ તે તેઓ નથી કરી રહ્યા અને તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બુખારીએ કહ્યું કે, મને આશા છે કે, મારા દેશના વડાપ્રધાન ઈઝરાયેલના વડાપ્રધાન સાથેના તેમના વ્યક્તિગત સબંધો દ્વારા યુદ્ધનો અંત લાવવા અને મુદ્દાઓને ઉકેલવા માટે રાજદ્વારી દબાણ કરશે.