માર્ગ અકસ્માત અંગે ગડકરીએ શું કરી જાહેરાત ? અકસ્માતમાં કેટલા બાળકોનો ભોગ લેવાયો છે જ? જુઓ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફત સારવાર અથવા રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપશે. આ પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને અસમમાં ગત વર્ષે ઓગસ્ટમાં શરૂ થયો હતો. જેના સફળ અમલીકરણ બાદ હવે દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં પરિવહન મંત્રીઓ સાથેની બેઠકમાં આ જાહેરાત થઈ હતી.
આ યોજનાનો લાભ લેવા અકસ્માતની જાણ તાત્કાલિક ધોરણે પોલીસને કરવી પડશે. અકસ્માત થયાના તુરંત કે 24 કલાકની અંદર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનારાને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળશે. જેમાં ઈજાગ્રસ્તને સાત દિવસ કે મહત્તમ રૂ. 1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે.
હેલમેટ વિના ૩૦ હજાર મોત
પરિવહન મંત્રીએ નવી યોજના જાહેર કરવાની સાથે માર્ગ અકસ્માતના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. જે અનુસાર, 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમાં 30000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે. ઉલ્લેખનીય છે, આ મૃતકોમાં 66 ટકા લોકો 18થી 34 વર્ષનો યુવા વર્ગ હતો.
૧૦ હજાર બાળકોનો ભોગ લેવાયો છે
ગડકરીએ એવી માહિતી પણ આપી હતી કે સ્કૂલ, કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અપૂરતી વ્યવસ્થાને લીધે માર્ગ અકસ્માતોમાં ૧૦ હજાર બાળકોનો ભોગ લેવાઈ ગયો છે. આ આંકડા આઘાતજનક છે અને આ રીતે બાળકોનો ભોગ લેવાનું હવે બંધ થવું જોઈએ. સ્કૂલો માટે ઓટોરિક્ષા અને મિનિ બસ માટે પણ નિયમો બનાવાયા છે. આ વાહનોને લીધે ઘણા બાળકોના મોત થઈ ગયા છે.