અમિત શાહે કાશ્મીર અંગે શું વાત કરી ? જુઓ
સેના અંગે શું અણસાર આપ્યો ?
લોકસભાની ચુંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને તેની વચ્ચે હવે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે AFSPA હટાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આ માહિતી આપી હતી.
મીડિયા ગ્રુપને આપેલા એક ઈન્ટરવ્યુમાં શાહે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી સેના પાછી ખેંચી લેવામાં આવશે અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે. સેનાને તબક્કાવાર પાછી ખેંચવામાં આવશે. કાશ્મીરમાં સપ્ટેમ્બર માસ પહેલા વિધાન સભાની ચુંટણી કરાવી શકાય છે તેવો અણસાર પણ એમણે આપ્યો હતો અને કહ્યું હતું કે કશ્મીરના યુવાનોએ પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવું જોઈએ.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આપણા સૈનિકોને પાછા ખેંચી લેવા અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો પરંતુ આજે તેઓ કેન્દ્રીય દળ સાથે મળીને ચાલી રહ્યા છે. આતંકવાદ વિરોધી કામગીરીમાં અગ્રણી કામગીરી કરી રહ્યા છે. હવે મોટા ભાગના એન્કાઉન્ટર પોલીસ જ કરી રહી છે.
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને શાહે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન મોદીનું વચન છે અને તે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે આ લોકશાહી હશે અને માત્ર ત્રણ પરિવારો સુધી મર્યાદિત નહીં રહે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર પહેલા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે અમે કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરીશું, એવા સંગઠનો સાથે નહીં કે જેમના મૂળ પાકિસ્તાનમાં છે. તેઓ 40 હજાર યુવાનોના મોત માટે જવાબદાર છે. શાહે કહ્યું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે.