એર ઈન્ડિયા એક્સ્પ્રેસએ શું કર્યું ? જુઓ
એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વગર બિમારીનું કારણ આપીને રજા પર ગયેલા 25 કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી દીધા હતા. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક ‘સિક લીવ’ લઈને રજા લઈ લીધી, જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ગુરુવારે 25 કર્મીઓને બરતરફ કરી દીધા હતા અને આ પગલાંનો હડતાલિયા કર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હજુ પણ બીજા કર્મીઓની હકાલપટ્ટી થવાની સંભાવના છે. રજા પર ઉતરી જનારા બધા કેબિન ક્રૂ સ્ટાફના સભ્યો હતા.
ગયા મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી, ત્યારે છેલ્લી ઘડીએ કેબિન ક્રૂના કર્મચારીઓ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. બુધવારે એરલાઇનના સીઇઓએ જણાવ્યું હતું કે, ‘મંગળવાર સાંજથી, અમારા 100 કરતા પણ વધારે કેબિન ક્રૂ સહકર્મીઓ તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલાં છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરી છે, જેના કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.’