મહારાષ્ટ્ર કોંગીના નેતાએ શું વિવાદ જગાવ્યો ? જુઓ
મહારાષ્ટ્ર વિધાન સભાના વિપક્ષના નેતા કોંગ્રેસના વિજય વડેટીવારે રવિવારે ભારે વિવાદિત નિવેદન આપીને એમ કહ્યું હતું કે 2008 માં મુંબઈ પરના આતંકી હુમલામાં એટીએસના પૂર્વ પ્રમુખ હેમંત કરકરેનો જાન આતંકવાદી કસાબની ગોળીથી ગયો નહતો. એમને આતંકીઓએ માર્યા નહતા.
આ નેતાએ એવો દાવો કર્યો છે કે કરકરેને આરએસએસને સમર્પિત એક પોલીસ અધિકારીએ જ ગોળી મારી હતી. વિજયે એમ કહીને મુંબઈ નોર્થ -સેન્ટ્રલ બેઠકના ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નીકમ પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે બિરયાનીનો મુદ્દો ઉઠાવીને નિકમે કોંગ્રેસને બદનામ કરી હતી.
એમણે એવો સવાલ પણ કર્યો હતો કે શું કોઈ કસાબને બિરયાની આપી શકે ? થોડા સમય બાદ નિકમે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો. આ તો ગદ્દાર વકીલ છે જેણે કોર્ટમાં જુબાની જ આપી નહતી. કસાબની ગોળીથી કરકરેનું મોત થયું નહતું તે સાચી વાત કોર્ટથી છુપાવનાર નિકમ ગદ્દાર છે અને આવા ગદારોને ભાજપે શા માટે ટિકિટ આપી છે.
પોતાના નિવેદન અંગે વિજયે કહ્યું હતું કે આ બધા મારા શબ્દો નથી, પણ એસ એમ મુસરીફ દ્વારા લખાયેલ પુસ્તકના શબ્દો છે. પુસ્તકમાં આ બારામાં સમગ્ર જાણકારી આપવામાં આવી છે. મુસરીફ એક પોલીસ ઓફિસર હતા.
આ નિવેદનને પગલે ભારે રાજકીય ચર્ચા જાગી છે અને વિજયની આલોચના થઈ રહી છે. મહારાષ્ટ્રના ચુંટણી જંગમાં હવે આ મુદ્દો ચગાવવામાં આવશે તેમ માનવામાં આવે છે. ભાજપે પણ નિવેદનની ટીકા કરી છે.