રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત
રવિવારે રાત્રે 9:45 વાગ્યે રૈયાધારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટ પાસે ભાવેશ વાણવી નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ સગા ભાઈઓની ધરપકડ બાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ગુરુવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી બાજુ આ હત્યા હનીટે્રપની અરજીની ખૂન્નસમાં જ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલા ત્રણેય આરોપીઓએ એવી કબૂલાત પણ આપી હતી કે અમારો ઈરાદો ભાવેશને મારી નાખવાનો ન્હોતો, અમે માત્ર ડર જ બતાવવા માંગતાં હતા !
ઝોન-2 એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની ટીમે અટલ સરોવર પાસેથી રવિ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.33), સાગર મેરાભાઈ જોગરાણા (ઉ.વ.26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.22)ને પકડી પાડી એસસી-એસટી સેલને સોંપ્યા હતા. હવે આ મામલાની તપાસ એસીપી ચિંતન પટેલ જણાવી રહ્યા છે. તપાસમાં ખુલ્યા પ્રમાણે ગોપાલ ડ્રાઈવિંગનું કામ કરે છે જ્યારે રવિ શીતલપાર્ક પાસે રસનો ચિચોડો ચલાવે છે સાથે સાથે મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર વૃક્ષો કાપવાનું કામ કરે છે. જ્યારે સાગર પણ રૈયા ધાર પાસે જલારામ ચોકમાં રસનો ચીચોડો ધરાવે છે.
આ હત્યા પાછળ મુખ્ય સૂત્રધાર હમીર મેરાભાઈ જોગરાણા છે જે હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. પ્રારંભીક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે કૃપાલી નામની યુવતી કે જે જેતપુરની છે તેને মৃতક ભાવેશ વાણવી અને મુખ્ય આરોપી હમીર જોગરાણા સાથે પરિચય થયો હતો. આ બાબતે હમીર અને ભાવેશ વચ્ચે ઇન્સ્ટાગ્રામ સહિતના માધ્યમો થકી ઝઘડાઓ પણ થયા હતા. ત્યારબાદ ભાવેશ દ્વારા હમીરને છેડતી-દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની અરજી પણ હમીર દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં કરવામાં આવી હતી તો સામે કૃપાલી દ્વારા પણ હમીર સામે છેડતીની અરજી કરાઈ હતી. આ અરજી અંગે સમાધાન થયા છતાં ડખ્ખા ચાલુ રહેતા આખરે ભાવેશને સબક શિખવવાનું નક્કી કરી હમીર અને તેના ત્રણ ભાઈઓ ઉપરાંત વિક્રમ, દેવકરણ અને ભૂરા નામના શખ્સો હથિયાર સાથે ધસી ગયા હતા અને ભાવેશ ઉપર તૂટી પડ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ASIને ધમકી આપનાર ડી.ડી.સોલંકી સહિત ત્રણ સામે ગુનો દાખલ
ભાવેશ વાણવીની હત્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરાતાં પોલીસ અધિકારીઓની ભારે સમજાવટ અને મથામણ બાદ આખરે મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. જો કે ત્યારબાદ સોમવારે રાત્રે સિવિલ હોસ્પિટલ ચોકમાં મૃતદેહ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં સ્થિતિ બગડી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આગેવાન દિલીપ ધીરૂભાઈ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોક સિંધવ અને નરેશ ઉગાભાઈ બગડા સહિતના દ્વારા ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ સંજય રામજીભાઈ દાફડાને “તું અહીંથી ઘરે તો એકલો જ જઈશ ને” કહીને મારી નાખવાની ધમકી આપી પછાડી દેતાં તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
