વાડાની જમીન પણ ખેતીની જમીન ગણાય : જસદણના બળધોઇ ગામની જમીનના કેસમાં કલેકટરનો મહત્વનો ચુકાદો
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઇ ગામના જમીન વેચાણ કિસ્સામાં જમીન ખરીદનાર ખેડૂત વાડાની જમીન ધરાવતા હોવાથી જસદણ નાયબ કલેકટરે વેચાણ નોંધ ના મંજુર કરવાના કેસમાં જિલ્લા કલેકટર સમક્ષ રીવીઝન અપીલ દાખલ કરવામાં આવતા કેસ ચલાવી રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો ચુકાદો આપી સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ કાયદાની જોગવાઈ મુજબ ખેતીની જમીનની વ્યાખ્યા મુજબ વાડાની જમીન પણ ખેતીની જમીન જ હોવાનો અવલોકન કરી નાયબ કલેકટર જસદણનો હુકમ રદ કરી ખેતીની જમીનની વેચાણ નોંધ પાડવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઇ ગામે વર્ષ 2020માં કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા રતિલાલ જગજીવનભાઇ ટિટિયાએ કિરણસિંહ બહાદુરસિંહ જાડેજા સાથે ભાગીદારીમાં બળધોઇ ગામના રેવન્યુ સર્વે નંબર 34પૈકી 2ની જમીન ખરીદ કરી હતી.જો કે, જે તે સમયે અરજદાર રતિલાલ જગજીવનભાઇ ટિટિયાએ ખેડૂત ખાતેદારનો દાખલો રજૂ ન કરતા નોંધ રદ કરવામાં આવી હતી. જેથી નાયબ કલેકટર સમક્ષ અપીલ કરી જમીન ખરીદનાર રતિલાલ જગજીવનભાઇ ટિટિયા પોતે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના આંબળાશ ગામના રેવન્યુ સર્વે નંબર 460 પૈકી 10 અને 11ની 0-11-13 જમીન ખાતા નંબર 260થી ધારણ કરતા હોવાનો મામલતદાર તાલાલાનો ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.
જો કે, જસદણ નાયબ કલેકટર દ્વારા અરજદાર રતિલાલ જગજીવનભાઇ ટિટિયાએ રજૂ કરેલ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર વાડાની જમીનનું હોવાનું તેમજ સંયુક્ત રીતે વાડાની જમીન ધરાવતા હોવાનું નોંધી જમીનમાં વાવેતર ન હોય અને માત્ર વાડા તરીકે જ જમીનનો ઉપયોગ થતો હોવાથી ખાતેદાર ખેડૂત ગણી શકાય નહીં તેવો નિર્ણય કરતા રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ વિલંબ માફી અને રીવીઝન અપીલ કરતા જિલ્લા કલેકટરે વિલંબ માફી આપી રીવીઝન અરજી ચલાવતા અરજદારો તરફથી થયેલી દલીલ અને સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદા મુજબ ખેતીની જમીન અંગેની વિસ્તૃત વ્યાખ્યા મુજબ વાડાની જમીન ખેતીની જમીન ગણવા દલીલો કરી હતી.
ઉપરોક્ત કેસમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા બળધોઇ ગામના આ કેસમાં સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ કાયદાની જોગવાઈ મુજબ ખેતીની જમીન એટલે કુવા સહિતની ખેતીની હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોય તેવી કોઈપણ જમીન, (ક) ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવાતી તેવી જમીન સાથે જોડાયેલા ખેતર ઉપરના ઘરોની જગાની અને (ખ) ખેડૂતો,ખેતમજૂરો અથવા કારીગરોના ભોગવટામાં હોય તેવા રહેવાના ઘરો અને વાડાની જમીન અને તેવા ઘરો સાથે જોડાયેલી જમીનનો સમાવેશ થાય છે જે વિગતે કેન્દ રેવન્યુ કોડની કલમ 16 મુજબ ખાતેદારની વ્યાખ્યા કલમ 17 મુજબ ખાતુની વ્યાખ્યા અને કલમ 25 મુજબ સહખાતેદારોની વ્યાખ્યા સાથે જોવામાં આવે તો જ્યાં સુધી આવી રીતે વાડાની સંયુક્ત ખેતીની જમીનનું ખાતું ચાલતું હોય ત્યાં સુધી ખેડૂતનો દરજ્જો પણ ચાલુ હોવાનું માનવને કારણ રહે છે.જેથી જસદણ નાયબ મામલતદારનો નિર્ણય રદ કરી નોંધ મંજુર કરવા હુકમ કરવામાં આવ્યો હતો.