મોંઘા ભાડાને કારણે વંદેભારત ટ્રેન અડધો-અડધ ખાલી
ઓખા-અમદાવાદ વચ્ચેનું અંતર 499 કિલોમીટર અને ભાડું 2485 : અમદાવાદ મુંબઈનું અંતર 491 કિલોમીટરને ભાડું 2295 !
રાજકોટ : લાંબા અંતરના સ્થળોએ જવા માટે મધ્યમવર્ગ માટે એકમાત્ર વિકલ્પ એવી ટ્રેન દિવસે ને દિવસે મોંઘી બની રહી છે ત્યારે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનના મોંઘા ભાડાને કારણે ખાલી-ખાલી દોડી રહી હોવાનું સામે આવ્યું છે સાથે જ રેલવે તંત્રએ મુંબઈ-અમદાવાદ અને ઓખા અમદાવાદ વચ્ચે દોડતી બે વંદેભારત ટ્રેન રૂટના અંતરમાં માત્ર 8 કિલોમીટરનો જ ફેરફાર હોવા છતાં ભાડામાં 165થી લઈ 210 સુધી વધારો કર્યો હોય મુસાફરો જરૂરના સમયે જ આ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યાનું સામે આવ્યું છે.
અમદાવાદ -મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ વંદે ભારત ટ્રેનમાં એકઝ્યુકેટીવ ચેર કારમાં 2295 અને ચેર કારમાં 1200 રૂપિયા ભાડું 491 કિલોમીટરની મુસાફરી માટે વસુલ કરવામાં આવે છે, જયારે ઓખા -અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં 499 કિલોમીટરના અંતર માટે એકઝ્યુકેટીવ ચેર કારમાં 2485 અને ચેર કારમાં 1365 રૂપિયા ભાડું વસુલ કરવામાં આવતું હોય બન્ને ટ્રેનમાં મુસાફરો અરજન્ટ જરૂરિયાત મુજબ જ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મુંબઈ -અમદાવાદ વંદે ભારતમાં દરરોજ પૂરતા મુસાફરો મળી જાય છે પરંતુ ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનમાં દરરોજ 40થી 50 ટકા સીટ ખાલી રહેતી હોવાનું ઓનલાઇન રેલવે બુકીંગ સિસ્ટમના આંકડા જણાવી રહ્યા છે.
સામાન્ય રીતે અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન બે મહિના અગાઉ જ ફૂલ થઇ જતી હોય છે ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદેભારત ટ્રેનમાં પાંચ દિવસ પહેલા બુકીંગ કરાવો તો પણ આસાનીથી રિઝર્વેશન મળી જાય છે. એ જ રીતે સપ્તાહમાં છ દિવસ દોડતી અમદાવાદ -ઓખા વંદેભારત ટ્રેનમાં તો આસાનીથી ગમે ત્યારે રિઝર્વેશન મળી જતું હોવાનું સામે આવ્યું છે. ઓખા અમદાવાદ વચ્ચે 8 રેક સાથે કુલ 602 મુસાફરોની ક્ષમતા સાથેની વંદે ભારત ટ્રેન દોડે છે જેમાં દરરોજ 150થી 200 કરતા પણ વધુ બેઠક ખાલી રહેતી હોવાનું તેમજ સુપરફાસ્ટ આ ટ્રેન વાંકાનેર અને રાજકોટ સ્ટેશન ઉપર અડધો કલાક જેટલી લેઇટ ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઓખા-અમદાવાદ વંદેભારત ટ્રેનમાં રાજકોટથી અમદાવાદનું ભાડું એકઝ્યુકેટીવ ચેર કારમાં રૂપિયા 1705 અને ચેર કારમાં 975 રૂપિયા ભાડું વસુલવામાં આવે છે અને રાજકોટથી અમદાવાદ વચ્ચેનું 247 કિલોમીટરનું અંતર કાપતા ટ્રેનને સત્તાવાર રીતે ત્રણેક કલાકથી ઓછો સમય લાગતો હોવાનું રેલવેની સમય સારણીમાં સમય દર્શાવવામાં આવ્યો છે.
વંદે ભારતની તુલનાએ વોલ્વો સસ્તી
ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેનનો લાભ રાજકોટને મળ્યો છે, ઓખા-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન દરરોજ સાંજે 6.10 કલાકે અમદાવાદ સ્ટેશનેથી ઉપડી રાજકોટ રાત્રે 9.03 મિનિટે પહોંચાડે છે. જો કે, વંદે ભારત ટ્રેનમાં એક વયસ્ક મુસાફરનું ચેરકારમાં 975 ભાડું વસુલવામાં આવતું હોવાથી લોકો ટ્રેનને બદલે વોલ્વો બસ કે કેબમાં આવવું વધારે પ્રિફર કરે છે, રાજકોટ અમદાવાદ વચ્ચે દોડતી એસટી અને ખાનગી વોલ્વોમાં 450થી 600 સુધી ભાડું વસુલવામાં આવતું હોય વંદે ભારત ટ્રેન મુસાફરોના ખિસ્સા ઉપર ભારે પડી રહી છે.