ઉદ્વવ ઠાકરેને કોંગી નેતાએ બચી કુચી શિવસેનાના પ્રમુખ ગણાવ્યા
શિવસેનાએ મુંબઈની એક બેઠક માટે નામ જાહેર કરી દેતા નિરૂપમ નાણાવટી વિફર્યા
મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘડી ગઠબંધનમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે.શિવ સેના ( ઉદ્વવ ઠાકરે ),કોંગ્રેસ અને એનસીપી ( શરદ પવાર ) વચ્ચે અનેક મંત્રણાઓ છતાં બેઠક સમજૂતી થઈ શકી નથી.ત્રણે પક્ષો વચ્ચેના આ વણઉકેલ મતભેદો વચ્ચે ઉદ્વવ ઠાકરેએ મુંબઈ ઉતર પશ્ચિમની બેઠક માટે અમોલ કીર્તિકર નું નામ બારોબાર જાહેર કરી દેતાં ભડકો થયો છે.એ જ બેઠકના દાવેદાર કોંગી નેતા નિરુપમ નાણાવટીએ સીટ શરિંગ અંગે મંત્રણાઓ ચાલુ છે ત્યારે ઠાકરે ઉમેદવારનું નામ જાહેર કઈ રીતે કરી શકે ? એવો સવાલ કર્યો હતો. તેમણે નામ લીધા વગર ઉદ્વવ ઠાકરેને બચી કુચી શિવસેનાના પ્રમુખ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે એક ડઝન બેઠકો થયા છતાં ત્રણે પક્ષો વચ્ચે સમજૂતી નથી થઈ શકી ત્યારે નામ જાહેર કરીને ઠાકરેએ ગઠબંધન ધર્મની અવમાનના કરી છે અને કોંગ્રેસનું અપમાન કર્યું છે.એટલેથી ન અટકતા તેમણે અમોલ કીર્તિકર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો દોહરાવ્યા હતા.અમોલ કીર્તિકર સામે કોરોના મહામારી સમયે મુંબઈ કોર્પોરેશનની પ્રવાસી મજૂરો માટેની ખીચડી સ્કીમમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા અને ઇડી તે અંગે તપાસ ચલાવી રહી છે.નિરુપમે,’ શું કૌભાંડમાં સંડોવાયેલા આ માણસ માટે શિવસેના અને કોંગ્રેસના કાર્યકરો કામ કરશે ? એવો સવાલ ઉઠાવ્યો હતો.
અમોલના પિતા શિવસેના ( શિંદે) ના સાંસદ છે!
અમોલ કીર્તિકરના પિતા ગજાનન કીર્તિકર 2019 માં શિવસેનાની ટિકિટ પરથી મુંબઈ ઉતર પશ્ચિમની બેઠક ઉપરથી ચૂંટાયા હતા.હાલમાં તેઓ શિંદે જૂથ સાથે છે.શિવસેના ( ઠાકરે ) એ અમોલનું નામ જાહેર કરતા એ બેઠક પર પિતા – પુત્ર વચ્ચે જંગ જામે તેવી સંભાવના છે.