ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
દેશમાં ખાવા- પીવાની ચીજોને વધુ સુરક્ષિત અને આરોગ્યપ્રદ બનાવવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશમાં ફૂડ સુરક્ષા સત્તામંડળ દ્વારા એવો પ્રસ્તાવ રાખ્યો છે કે હવે દેશમાં ખાવા-પીવાની ચીજો વેચતા દુકાનદારોએ પોતાના ઉત્પાદનની અને સ્ટોરેજની રોજેરોજ માહિતી રાખવી પડશે. જેમની પાસે લાઇસન્સ છે તે બધા જ વેચાણકારોને આ નિયમ લાગુ પડશે.રોજ કેટલું અને કઈ ચીજનું ઉત્પાદન થાય છે તેનો રેકોર્ડ રાખવો પડશે.
આ રિપોર્ટ એમણે રોજ રાખવો પડશે અને આમ કરવું અનિવાર્ય જ હશે. આમ થવાથી એમના ઉત્પાદનની ચકાસણી કરવાનું વધુ સરળ બનશે. આ મામલા સાથે જોડાયેલા એક ટોચના અધિકારીએ આ માહિતી મીડિયાને આપી હતી.
જો કે નિયામક દ્વારા હજુ આ નવા નિયમની તારીખ જાહેર કરાઇ નથી. 5 એપ્રિલ સુધી આ પ્રસ્તાવ પર બધાના મત માંગવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ દેશના 50 લાખ સક્રિય ધંધાર્થીઓ પર આ નિયમો લાગુ થઈ જશે.
આ બધા જ વેચાણ કરનારા લોકોએ કાચા માલ, વપરાયેલી બધી જ સામગ્રીના નામ સહિત બધી જ માહિતી રોજ રેકોર્ડ રાખવી પડશે અને ગમે ત્યારે તે માટે ચેકિંગ કરવામાં આવશે. દેશમાં વેચાતી આવી ચીજોની ગુણવત્તા ચકાસવા અને લોક આરોગ્યની રક્ષા કરવા માટે આ નવા નિયમ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 1 કરોડથી વધુ વેપારીઓને આ લાઇસન્સ અપાયા છે.
