ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી સાણસામાં આવ્યા ? શું થયું ? વાંચો
રૂપિયા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ઘેરાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા બરાબરના ફસાયા છે. લોકપાલે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હોવાનો દાવો ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ કર્યો હતો. મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોને ભ્રષ્ટાચારનો કેસ માનવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે મારી ફરિયાદ પર લોકપાલે મહુઆ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જો કે મહુઆએ તમામ આરોપો ફગાવી દીધા હતા.
મહુઆ મોઇત્રા પર આરોપ છે કે તેમણે રૂપિયા લઈને સંસદમાં ગૌતમ અદાણી ગ્રુપ વિશે સવાલ પૂછ્યા હતા. આ અંગે નિશિકાંત દુબેએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ મોકલી હતી. આ મામલે સંસદની એથિક્સ કમિટીએ નિશિકાંત દુબે અને મહુઆ મોઇત્રાના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાઇની પૂછપરછ કરી હતી.
મહુઆએ આરોપ લગાવ્યો હતો કે તેમને સંસદની એથિક્સ કમિટીએ પ્રાઈવેટ સવાલ પૂછાયા હતા અને તે પણ પૂછવામાં આવ્યું હતું કે તે રાત્રે કોની સાથે વાત કરે છે. આના પર નિશિકાંત દુબેએ કહ્યું હતું કે મહુઆ મોઇત્રા ખોટા આરોપ લગાવી રહી છે. જો તેમની વાત સાચી સાબિત થશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લેવા માટે તૈયાર છું.