રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ એક મહિનો ચાલશેઃ વરસાદ ન પડે તો ! ઝડપથી કામ પૂરું કરવા મ્યુ.કમિશનરનો આદેશ
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક પરના વોંકળાને દૂર કરી નવો વોંકળો બનાવવાની કામગીરીને અઢી મહિના જેવો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ વોંકળો ડાયવર્ટ કરવાની કામગીરી પૂર્ણ થઈ રહી ન હોય મ્યુ.કમિશનર દ્વારા 21 દિવસમાં બીજી વખત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ આ અંગે ઈજનેરોએ જણાવ્યું કે વોંકળાનું કામ હજુ એક મહિના સુધી ચાલશે પરંતુ સાથે સાથે એવી શરત પણ છે કે જો વરસાદ ન પડે તો જ આ કામ એક મહિનાની અંદર પૂર્ણ થશે ! જો એક સાથે બે-પાંચ કે દસ ઈંચ વરસાદ પડી જાય છે તો વધુ એકાદ મહિનો આ કામ ચાલી શકે છે !

દરમિયાન રાજકોટમાં તાજેતરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હોય તેના કારણે તણાઈને આવી રહેલો કચરો સ્ટિલમાં ચોંટી જતો હોવાને કારણે હોલ ભરાઈ જતો હોય કામગીરીને અડચણ પહોંચી રહી છે. એકંદરે પાણીનો પ્રવાહ અહીં આવતો અટકી રહ્યો ન હોય કામમાં વિલંબ થઈ રહ્યો છે. મ્યુ.કમિશનર દ્વારા સ્થળ વિઝિટ કરી અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે માણસો અને મશીનરી વધારીને પણ કામ ઝડપથી પૂર્ણ કરવું જરૂરી બની જાય છે. હાલ રોજ અહીં 25થી 30 લોકો દ્વારા અહીં 12થી 14 કલાક સુધી કામ કરવામાં આવી રહ્યાનું અધિકારીઓએ કમિશનરને કહ્યું હતું.
આ પણ વાંચો : વિસાવદરના નવા વાઘણિયા તથા માલિડા ગામે પુનઃમતદાન : બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આજે ફરી મતદાન શરૂ

આ ઉપરાંત મ્યુ.કમિશનરે કટારિયા ચોકડીએ નિર્માણ પામી રહેલા આઈકોનિક બ્રિજના ડાયવર્ઝન સહિતની કામગીરીને નિહાળી હતી. અહીં જલારામ ગાંઠિયા તેમજ કટારિયા શો-રૂમનું અમુક બાંધકામ નડતરરૂપ હોય તેમને તાત્કાલિક આખરી નોટિસ ફટકારી દબાણ દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે મહાપાલિકા દ્વારા બન્ને મિલકતોને અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે અને હવે દબાણ મહાપાલિકા દૂર કરી દેશે તેવો હુકમ જ આપવાનો બાકી હોય સાત દિવસની અંદર આ દબાણ પણ દૂર થઈ જશે. એકંદરે અહીં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાના આરે હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.