બાબા રામદેવ સામે કોર્ટની અવમાનના અંગેનો ફેસલો સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો
સુનાવણી દરમિયાન કોર્ટે આઇએમએને પણ ફટકાર લગાવી હતી, માફી પત્રનો અસ્વીકાર કર્યો : વધુ સુનાવણી 9 મી જુલાઈએ
સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનના કેસ પર પોતાનો આદેશ મંગળવારે અનામત રાખ્યો હતો. બંનેએ પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાત મામલે કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. અખબારોમાં જાહેર માફી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. બાબા રામદેવ પતંજલિના પ્રમોટર છે, જ્યારે આચાર્ય બાલકૃષ્ણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે. હવે વધુ સુનાવણી 9 મી જુલાઇના રોજ થશે. જો કે યોગ અંગે બાબાની સેવાના કોર્ટે વખાણ કર્યા હતા.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો. અશોકનની પણ ઝાટકણી કાઢી હતી. અશોકને એલોપેથી ડોક્ટરો વિશે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની ટીકા કરી હતી. આજે તેમણે કોર્ટમાં માફી પત્ર સોંપ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો ન હતો. નોંધનીય છે કે, ભ્રામક જાહેરાતોને લઈને પતંજલિ વિરુદ્ધની અરજી આઈએમએ દ્વારા જ દાખલ કરવામાં આવી હતી. આ પછી જ કોર્ટે પતંજિલને માફી માંગવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે, ‘જે દવાઓનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે દવાઓનું વેચાણ રોકવા અને તેને બજારમાંથી પાછી ખેંચવા માટે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે.’ કોર્ટે પતંજલિને આ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું.