કેલિફોર્નિયાની નિર્દોષ લાગતી ખિસકોલીઓ માંસાહારી બની !! જાણો ખિસકોલી શા માટે શિકાર કરે છે ??
ખિસકોલીઓ એટલે સુંદર જીવ. અખરોટ ભેગી કરે એવી રમતિયાળ જીવ જેને જોવી ગમે. પરંતુ કેલિફોર્નિયામાં કંઇક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. આ ખિસકોલી પોલ પ્રજાતિના ઉંદરોનો શિકાર કરે છે અને ખાય છે. પ્રથમ વખત, વૈજ્ઞાનિકોએ ખિસકોલીઓમાં આ માંસાહારી વર્તનનું દસ્તાવેજીકરણ કર્યું છે, જે દર્શાવે છે કે તેઓ “તકવાદી સર્વભક્ષી” છે. આનો અર્થ એ છે કે જ્યારે તક મળે છે ત્યારે તેઓ જીવંત શિકાર સહિત જે પણ ઉપલબ્ધ હોય તે ખાય જાય છે.
આ સંશોધન કે નિરીક્ષણ કેલિફોર્નિયાના બ્રાયોન્સ રિજનલ પાર્કમાં લાંબા ગાળાના અભ્યાસનો એક ભાગ હતું. દર ઉનાળામાં, સંશોધકો ખિસકોલીની વર્તણૂકનું નિરીક્ષણ કરવા માટે ગ્રાઉન્ડ ખિસકોલીને પકડે છે, ટેગ કરે છે અને ટ્રેક કરે છે. 2024 ના ઉનાળામાં, ટીમે એ આશ્ચર્યજનક દ્રશ્ય જોયું જેમાં ખિસકોલી સક્રિયપણે શિકાર કરી રહી હતી અને ખાતી હતી.

શરૂઆતમાં વૈજ્ઞાનિકો પણ શંકાસ્પદ હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસના સંશોધક સોન્જા વાઇલ્ડે જ્યારે ખિસકોલીનો વિડિયો જોયો, ત્યારે તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકી નહીં. ખિસકોલીએ ઉંદરનો શિકાર કર્યો હતો અને શીંગ કે અખરોટ ખાતી ખિસકોલીનું મોઢું લોહીથી ભરાયેલું હતું. 18 દિવસમાં આ ટીમે ખિસકોલી અને વોલ્સ ઉંદર વચ્ચે આવા 74 એનકાઉન્ટર રેકોર્ડ કર્યા. જેમાં ખિસકોલી શિકારીની ભૂમિકામાં હતી તે જોવામાં આવ્યું. નર અને માદા ખિસકોલીઓ, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તે બધા આ શિકાર પ્રવૃતિમાં ભાગ લે છે. ક્યારેક એકલા શિકાર કરે તો ક્યારેક બીજાનો શિકાર ઝડપી લેવાની આક્રમકતા પણ બતાવે.
ખિસકોલી શા માટે શિકાર કરે છે?
અભ્યાસો દર્શાવે છે કે ખિસકોલીઓ ઝડપથી અને સમૃદ્ધ પ્રોટીનનો સ્ત્રોત મેળવવા માટે વોલ ઉંદરનો શિકાર કરે છે. વળી ગ્લોબલ વોર્મિંગને કારણે નટ્સ મળવા મુશ્કેલ થઇ ગયા છે. બદામ ઓછી પાકે છે. માટે ખિસકોલી માંસાહાર તરફ વળી. પર્યાવરણીય વૈજ્ઞાનિક જ્હોન કોપ્રોવસ્કીના મતે, શિકાર એ ખિસકોલીઓ માટે વિપુલ પ્રમાણમાં ખોરાકના સ્ત્રોતનો લાભ લેવાનો એક માર્ગ છે, ખાસ કરીને વસ્તી ખુબ વધી રહી હોય અને ઝાડપાન ઓછા હોય ત્યારે.
જુલાઈ 2024 માં, સંશોધકોએ ખિસકોલીની વસ્તીમાં અસામાન્ય વધારો જોયો. આ વસ્તી વિસ્ફોટે શિકારની પ્રવૃતિને પ્રોત્સાહન આપ્યું. વસ્તી વિસ્ફોટનું કારણ અસ્પષ્ટ હોવા છતાં, તે ખિસકોલીઓને કંઈક નવું પણ હિંસક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરવાની સરળ તક પૂરી પાડે છે એવું વૈજ્ઞાનિક તારણ આવ્યું.
ઇકોસિસ્ટમનું બેલેન્સ
ફૂડ-પીરામીડમાં ખિસકોલીનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેઓ હિંસક થઇ ગઈ કારણ કે તે ક્લાઈમેટ ચેન્જ અને જંગલોની કમી અને માનવસર્જિત પ્રદુષણ જેવા પડકારોનો સામનો કરે છે. ખિસકોલી કેલિફોર્નિયાની ઇકોસિસ્ટમમાં શિકાર અને બીજ વિખેરીને જંગલો વધારનારો જીવ ગણાય. અનુકૂલન કરવાની તેમની ક્ષમતા અન્ય પ્રજાતિઓને ખીલવામાં પણ મદદ કરે એવી સક્ષમ છે પણ આ રીતે શિકાર કરવાથી બેલેન્સ બગડે એમ છે.
સંશોધકોએ હજુ આગળ અભ્યાસ કરવાની યોજના બનાવી છે કે શું આ શિકારની વર્તણૂક કેલિફોર્નિયાની ખિસકોલીઓ માટે અનન્ય છે કે શું તે અન્ય ખિસકોલી પ્રજાતિઓમાં સામાન્ય છે. ખિસકોલીઓ તેમના માતા-પિતા પાસેથી શિકાર કરવાનું શીખે છે કે કેમ અને તે ઇકોસિસ્ટમના સંતુલનને કેવી રીતે અસર કરે છે તે અંગે પણ તેઓ ઉત્સુક છે.
આ નવું સંશોધન આપણને સમજાવે છે કે વાતાવરણની જાળવણી કેટલી અગત્યની છે. માંસાહાર અને પ્રદુષણ આ દુનિયાને ખુબ નુકસાન કરે છે તે આપણને અનેક રસ્તેથી જાણવા મળે છે.