સ્કુલના પ્રિન્સિપાલે પહેલા ધોરણમાં ભણતી બાળાની હત્યા કરી’તી
દાહોદ પંથકમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ નાં પ્રયાસ બાદ કરી હત્યા કરી હોવાનું કબુલ્યુ
લાશને સ્કુલમાં જ ખાડો ખોદીને દફનાવી દીધી હતી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરી ૬ વર્ષીય બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવ્યાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ બાળાની હત્યા તે સ્કુલનાં પ્રિન્સિપાલે કરી હોવાનુ બહાર આવ્યું છે અને પોલીસે પ્રિન્સીપાલ ગોવિંદ નટની ધરપકડ પણ કરી છે. પ્રિન્સિપાલે પોતાનો ગુનો કબુલી પણ લીધો છે.
પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે, આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે બાળકીને તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું હતું જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું.
આ પછી પ્રિન્સિપાલે આખો દિવસ બાળકીની લાશને ગાડીમાં જ રાખી મૂકી હતી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ પ્રિન્સિપાલે શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવી દીધી હતી.
પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં.
વધુમાં મળતી વિગત અનુસાર, દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી.
વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, શાળાના પ્રિન્સીપાલ દ્વારા જ વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે શિક્ષકોના નિવેદનો પણ લેવાયા હતાં. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને તેણે ગુનો પણ કબુલી લીધો હતો.