રાષ્ટ્રપતિએ મિથુન ચક્રવર્તીને આપ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું વિજ્ઞાન ભવનમાં મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ સમારોહમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તી, કરણ જોહર, એઆર રહેમાન, નીના ગુપ્તા સહિત ઘણા સ્ટાર્સે નેશનલ ફિલ્મ એવોર્ડમાં હાજરી આપી હતી. ઈજાગ્રસ્ત હાથને કારણે મિથુન પોતાના હાથ પર પટ્ટી બાંધીને સમારોહમાં આવ્યા હતા જેમણે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવતી વખતે પોતાના જીવનના સંઘર્ષ અંગે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે ડાન્સને પોતાની મુખ્ય કળા બનાવીને ફિલ્મોમાં કામ કર્યું અને દેખાવથી ઉપરવટ વધુને વધુ ફિલ્મોમાં કામ કરીને અભિનય ક્ષેત્રમાં કાઠું કાઢ્યું. ગુલમહોરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો જે સ્વીકારવા માટે ડાયરેક્ટર અને અભિનેતા રિષભ શેટ્ટી આવ્યા હતા.
ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન 2’ ને બેસ્ટ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મેળવવા માટે દિગ્દર્શક મણિરત્નમ આવ્યા હતા. વિશાલ ભારદ્વાજને ફિલ્મ ‘ફુરસત’ માટે શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એ આર રહેમાનને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેમનો સાતમો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે.
અભિનેતા મિથુન ચક્રવર્તીએ પત્રકારો સાથે મુલાકાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આ બહુ મોટું સન્માન છે. ભગવાનનો આભાર. મને ગમે તેટલી તકલીફો સહન કરવી પડી, એવું લાગે છે કે ભગવાને મને વ્યાજ સાથે પાછું આપ્યું છે.’