રાજકોટની બાલાજી હોસ્પિટલની મહિલા તબીબના આપઘાતનું ઘૂંટાતું રહસ્ય : તબીબો-સ્ટાફની પોલીસ પૂછપરછ કરશે
રાજકોટના એસ.ટી.બસપોર્ટ પાછળ આવેલી બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બે વર્ષથી આઈસીયુ આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં મહિલા તબીબે એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈને મોત મીઠું કરી લેતાં તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી હતી સાથે સાથે આ પગલું ભરવા પાછળનું કારણ શું હશે તેને લઈને પણ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. બીજી બાજુ પોલીસ હજુ આપઘાત પાછળનું કારણ શોધી શકી ન હોય રહસ્ય વધુ ઘેરું બની ગયું છે.
મોરબી રોડ પર રોણકી ગામે રહેતી અને બાલાજી હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી કરતી એન્જલ ધવલભાઈ મોલિયા (ઉ.વ.27)એ 21એ એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈ લેતાં હોસ્પિટલમાં જ ઢળી પડતાં તેને ત્યાં જ દાખલ કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ કારગત નહીં નિવડતાં શનિવારે એન્જલનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
આ અંગે એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું કે એન્જલે આ પગલું શા માટે ભર્યું તે અંગે કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા એન્જલના પતિ કે તે પણ BHMS ડૉક્ટર છે તેની પૂછપરછ કરવામાં આવતાં ધવલે પણ એન્જલ સાથે કોઈ પ્રકારની તકરાર ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત એન્જલના માતા-પિતાએ પણ કોઈ પ્રકારનો આક્ષેપ ન કર્યો હોવાથી આખરે એન્જલે આ પગલું શા માટે ભરી લીધું તે જાણવું પોલીસ માટે પણ કપરું બની ગયું છે.
હવે પોલીસ દ્વારા બાલાજી હોસ્પિટલના અન્ય તબીબો અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવ્યા બાદ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે તેવું ACPએ જણાવ્યું હતું.