ચૂંટણી પંચે હટાવી દીધેલા બંગાળના ડીજીપી મમતાના ખાસમખાસ હતા
તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં મમતા એ ધરણા કર્યા હતા
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સોમવારે પશ્ચિમ બંગાળમાં ડીજીપી રાજીવ કુમારને ફરજ પરથી હટાવી દેવાના નિર્ણયને કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપ ચૂંટણી પંચને હાથો બનાવી અને પશ્ચિમ બંગાળમાં પોતાના મનગમતા અધિકારીઓને સ્થાન અપાવી પરોક્ષ રીતે ચૂંટણીને પ્રભાવિત કરવા માંગે છે તેવો ટી એમ સી એ આક્ષેપ કર્યો છે. જો કે હકીકત એ છે કે રાજીવ કુમાર પણ અનેક વિવાદોમાં ફસાયેલા છે.
આ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ વિશ્વાસુ અધિકારી હોવાની છાપ છે.
2016 ની વિધાનસભાની ચૂંટણી સમયે ગેરકાયદે રીતે વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવાનો તેમની સામે આક્ષેપ થયો હતો. 2023 માં મનોજ માલવીયા નિવૃત્ત થયા બાદ તેમણે ડીજીપીનો ચાર્જ સંભાળ્યો હતો.
એ અગાઉ તેઓ કોલકત્તા અને વિદ્યાનગરના પોલીસ કમિશનર પદે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ અને સ્પેશિયલ ટાસ્કના વડા તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી.
બંગાળમાં કુખ્યાત શારદા ચીટ ફંડ કેસમાં બંગાળ સરકાર દ્વારા તેમના નેતૃત્વ હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એ એ તપાસ દરમિયાન રાજીવ કુમારે કેટલાક પુરાવા અને દસ્તાવેજો છુપાવ્યા હોવાનો અને નાશ કરી નાખ્યાં હોવાનો સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો.
એ મામલામાં સીબીઆઇએ તેમના નિવાસ્થાન પર દરોડા પાડયા ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ ધરણા ઉપર ઉતરી આવ્યા હતા અને સર્વોચ્ચ અદાલતે ધરપકડમાં સામે રાજીવ કુમારને રક્ષણ આપતો આદેશ કર્યો તે પછી આંદોલન સમેટ્યું હતું.
ચૂંટણી પંચે રાજીવ કુમારને હટાવ્યા બાદ બંગાળ સરકારને ત્રણ નામોની ભલામણ કરવાની સૂચના આપી હતી અને સરકારે સંજીવ મુખર્જી, રણવીર કુમાર અને ડોક્ટર રાજેશ કુમારના નામ ચૂંટણી પંચને મોકલી આપ્યા હતા પણ તેમાંથી એક પણ નામ સ્વીકારવાની બદલે ઇલેક્શન કમિશને ગઈ સાંજે વિવેક સહાયની નિમણૂક કરી હતી.જો કે, મંગળવારે ચૂંટણી કમિશને સંજીવ મુખર્જીને ડીજીપી તરીકે નિયુક્તિ આપતો હુકમ કર્યો હતો.