ટીડીપીના પ્રમુખ નાયડુએ દિલ્હીમાં ભાજપ હાઇ કમાન્ડ સાથે બેઠકો કરી…જુઓ શું કહ્યું
ટીડીપી પણ એનડીએમાં સામેલ થઈ જશે
લોકસભાની ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ ઈન્ડિયા ગઠબંધનને મોટા ફટકા પડી રહ્યા છે અને એક પછી એક તેના નેતાઓ સાથ છોડી રહ્યા છે. હવે આંધપ્રદેશમાં ટીડીપી પણ એનડીએમાં સામેલ થઈ શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ દિલ્હી પહોંચી ગયા હતા.
નાયડુએ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરી હતી અને ખાસ કરીને ભાજપના પ્રમુખ નડા તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું હતું. ભાજપ હાઇ કમાન્ડે નાયડુને એનડીએમાં લાવવાની જવાબદારી જનસેના પ્રમુખ પવન કલ્યાણને સોંપી હતી.
જનસેના પહેલાથી જ એનડીએનો ભાગ રહી છે. બે દિવસ પહેલા જ પવન કલ્યાણ ચંદ્રબાબુના નિવાસ સ્થાન પર પહોંચી ગયા હતા અને ત્યાં ભાજપ હાઇ કમાન્ડનો મેસેજ આપી દીધો હતો અને તખત્તો ગોઠવાઈ ગયો હતો. ત્યારબાદ બુધવારે નાયડુ પણ દિલ્હી પહોંચી ગયા હતા અને એનડીએમાં સામેલ થવા અંગેની ચર્ચા-મંત્રણા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ નાયડુએ અને તેમના નેતાઓએ એવી જાહેરાત કરી હતી કે, તેઓ લોકસભાની ચુંટણી જનસેનાની સાથે રહીને લડશે. તેનો મતલબ ત્યારે પણ એવો હતો કે નાયડુ પાછા એનડીએમાં જઈ રહ્યા છે.