સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણી : ભારત કોઈ ધર્મશાળા નથી, દુનિયાભરના શરણાર્થી ઘુસી આવે છે અને રહેવા લાગે છે
એક અત્યંત તીખી અને કડક ટિપ્પણીમાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતુ કે, ભારત એ કોઈ ધર્મશાળા નથી કે દુનિયાભરમાંથી શરણાર્થીઓ અહી ઘુસી આવે અને રહેવા લાગે. એક તમિલ શરણાર્થીની અટકાયતના કેસમાં દરમિયાનગીરી કરવાનો ઇનકાર કરતી વખતે જસ્ટીસ દીપાંકર દત્તાએ સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતની વસતિ ૧૪૦ કરોડ છે અને આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં કોઈ ભારતમાં ઘૂસીને રહેવા લાગે એ ચલાવી ન લેવાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય આપવો? અમે 140 કરોડ લોકો સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી.
શ્રીલંકાના નાગરિકની અટકાયત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ બેન્ચ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારે UAPA કેસમાં લાદવામાં આવેલી 7 વર્ષની સજા પૂર્ણ થયા પછી તરત જ ભારત છોડી દેવું જોઈએ.
શ્રીલંકાના અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે શ્રીલંકન તમિલ છે અને વિઝા પર અહીં આવ્યો હતો. તેમના પોતાના દેશમાં તેમના જીવ જોખમમાં છે. અરજદાર લગભગ ત્રણ વર્ષથી કોઈપણ દેશનિકાલ પ્રક્રિયા વિના અટકાયતમાં છે. જસ્ટિસ દત્તાએ પૂછ્યું, ‘તમને અહીં સ્થાયી થવાનો શું અધિકાર છે?’ વકીલે પુનરોચ્ચાર કર્યો કે અરજદાર શરણાર્થી છે. જસ્ટિસ દત્તાએ કહ્યું કે કલમ 19 મુજબ, ભારતમાં સ્થાયી થવાનો મૂળભૂત અધિકાર ફક્ત નાગરિકોને જ છે. જ્યારે વકીલે કહ્યું કે અરજદારના પોતાના દેશમાં જ જીવ જોખમમાં છે, ત્યારે જસ્ટિસ દત્તાએ કહ્યું, ‘બીજા કોઈ દેશમાં જાઓ.’
વર્ષ 2015 માં, અરજદારને LTTE ના કાર્યકર્તાઓ હોવાની શંકાના આધારે બે અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018 માં, અરજદારને UAPA ની કલમ 10 હેઠળના ગુના માટે ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2022 માં, મદ્રાસ હાઈકોર્ટે તેમની સજા ઘટાડીને 7 વર્ષ કરી. પરંતુ તેમને સજા પછી તરત જ ભારત છોડી દેવા અને ભારત છોડે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતી.
