સિંદુર કા બદલા સિંદુર સે…ભારતે પાકિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, ઘરમાં ઘૂસીને 9 આતંકી ઠેકાણા તબાહ
સિંદુર કા બદલા સિંદુર સે…22 એપ્રિલ 2025નો એ દિવસ જ્યારે પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો ત્યારે ભારતે આતંકી હુમલાનો બદલો લીધો છે. આતંકવાદની કમર તોડવા માટે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.

ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુદિરકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા છે.
એરસ્ટ્રાઈકમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા
- બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.
- મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.
- ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.
- લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.
- બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.
- કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.
- બરનાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.
- સરજાલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.
- મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.