અંગપ્રદર્શન કરવું કડવા પાટીદાર સમાજને શોભતું નથી! લગ્નખર્ચ, પ્રિ-વેડિંગ-પરિવારીક મૂલ્યો બાબતે સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી
રાજકોટની ભાગોળે ઈશ્વરિયા ગામે સવાસો કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત સંમેલનને સંબોધન કરતાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ સમાજમાં ઘર કરી ગયેલા ટ્રેન્ડ ઉપર અંગૂલીનિર્દેશ તેમજ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે લોકો આપણી સામે ગીધનજરે જુવે એવા કપડાં પહેરી અંગપ્રદર્શન કરવું એ કડવા પાટીદાર સમાજની શોભા નથી. સૌથી ચિંતાની વાત એ છે કે આજે દીકરીના પરિવારજનો દીકરાના ઘરમાં કેટલી ડસ્ટબિન એટલે કે વડીલો કેટલા છે એવું પૂછતાં થઈ ગયા હોય આ મુદ્દે જો ગહન ચિંતન કરવામાં નહીં આવે તો સમાજની હાલત પશુઓ જેવી થઈ જશે !
કાર્યક્રમને સંબોધન કરતાં રૂપાલાએ જણાવ્યું કે ઘરમાં કેટલી ડસ્ટબિન છે તેવું પૂછવું, ગામડે સહકુટુંબમાં દીકરો રહેતો હોય તો ત્યાં દીકરી નથી આપવી તેવો જે ટે્રન્ડ શરૂ થયો છે તે બંધ કરવો જોઈએ. આ મુદ્દો દિવસેને દિવસે ગંભીર બની રહ્યો હોય તેના ઉપર સમાજના મોવડીઓએ વ્યવસ્થિત ચિંતન કરી એક બંધારણ બનાવવું જરૂરી બની ગયું છે અન્યથા પ્રાણી જેવી હાલત થતાં વાર લાગશે નહીં.
તેમણે ઉમેર્યું કે એક સમય હતો જ્યારે ઉમિયાધામ (સિદસર) નક્કી કરે એ જ દિવસે લગ્ન કરવામાં આવતા હતા પરંતુ હવે આવું ખૂબ જ ઓછું થઈ ગયું છે. લગ્ન પાછળ ખર્ચ પણ ખૂબ થઈ રહ્યો છે. તેમણે ઉદાહરણ આપ્યું કે આખા લગ્નનો જેટલો ખર્ચ અગાઉ થતો એટલો ખર્ચ કરીને અત્યારે તો માત્ર લગ્નનો આલ્બમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વળી, પ્રિ-વેડિંગનો રિવાજ પણ સમાજમાં ઘૂસી ગયો હોય જે ચિંતાજનક છે. લગ્નના ગીતો પહેલાં મહિલાઓ ગાતી અને તે સમયનો માહોલ પણ કંઈક ઔર હતો પરંતુ અત્યારે આ બધું જ ભાડે આપી દેવામાં આવે છે. સહકુટુંબ હોય તેવા પરિવારમાં દીકરી ન આપવી, ગામડે ન આપવાની જિદ્દ ખૂબ જ ગંભીર વાત છે. આપણે ગામડાના થઈને ગામડા સામે વાંધો ઉપાડીએ એ કેટલુ વ્યાજબી છે ? આપણે અસલ ગામડાની જ આઈટમ છીએ તેવું પણ સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું.
અત્યારે માતા પુત્રીને કંઈક કહે તો આપઘાત કરી લ્યે છે, પતિ કે સાસરિયા શોપિંગમાં ન જવા દે તો છૂટાછેડા થયાના કિસ્સા પણ વધી રહ્યા છે. આ બધું બંધ થવું જોઈએ.
આ કાર્યક્રમમાં ઉમિયાધામના પ્રમુખ જગદીશ કોટડિયા ઉપરાંત જેરામ વાંસજાળિયા, જૂનાગઢના ગાંઠિલા મંદિરના નિલેશ ધૂલેશિયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, ચિમનભાઈ સાપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
