કર્ણાટકમાં છ ટર્મ સુધી સાંસદ રહેલા હેગડેને ભાજપે શું કર્યું જુઓ…
બંધારણ બદલવાની શેખી મારવાનું ભારે પડ્યું
મહાકૌભાંડના આરોપી જનાર્દન રેડ્ડી ફરી ભાજપમાં
એલફેલ નિવેદનો કરીને પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દેનાર તથા વિરોધ પક્ષોને સામેથી શસ્ત્ર ભેટ ધરી દેનાર કર્ણાટકના દિગ્ગજ નેતા અનંતકુમાર હેગડેની ટિકિટ કાપી ભાજપે બધા જ બહુબોલકા નેતાઓને નિવેદનબાજી કરવામાં મર્યાદા રાખવાનો અને નહિતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનો સંદેશો આપી દીધો હતો.
અનંતકુમાર હેગડે છેલ્લા 28 વર્ષમાં ઉત્તર કન્નડાની બેઠક પરથી છ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. જોકે તેમણે ભારતનું બંધારણ બદલી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ભાજપને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હોવાનું નિવેદન આપતા ભારે વિવાદ થયો હતો. ભાજપ સત્તા ઉપર આવશે તો બંધારણ બદલી નાખશે એવો પ્રચાર વિપક્ષોએ શરૂ કર્યા બાદ ભાજપ બેકફૂટ પર આવી ગયો હતો. અંતે એક ડે ના એ નિવેદન સાથે સંમત ન હોવાનો સંદેશો આપવાના હેતુથીભાજપે તેમને પડતા મૂક્યા છે. તે બેઠક ઉપર છ વખત સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરીને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કટ્ટર હિન્દુત્વનો ચહેરો માનતા સાધ્વી પ્રજ્ઞા, રમેશ બિધુરી અને પર્વેશ વર્માને પણ ભાજપે પડતા મૂક્યા હતા.
જનાર્દન રેડી ની ઘર વાપસી
કર્ણાટકમાં બહુ ગાજેલા 35,000 કરોડના ખાણ ખનીજ કૌભાંડના સૂત્રધાર જનાર્દન રેડીએ ફરી એક વખત ભગવો ધારણ કરી લીધો છે. આ કથિત કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલવાસ થયો હતો. 2008માં બહુમતી ન હોવા છતાં ઓપરેશન કમલમ દ્વારા ભાજપને સત્તા અપાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. 2022 માં ભાજપ છોડી તેમણે પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો હતો અને ગંગાવત ની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે પોતાના પક્ષનું પણ ભાજપમાં વિલીનીકરણ કરી દીધું છે. તેમના આગમનથી બેલલારી, બાગલકોટ અને કોપલની બેઠકો પર ભાજપને ફાયદો થશે. નોંધનીય છે કે ધારાસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે નુકસાન એ ત્રણ જિલ્લાઓમાં થયું હતું.