લો બોલો! કરાંચીની જેલમાંથી 216 કેદીઓ એક સાથે ભાગી ગયા, વાંચો શું છે સમગ્ર મામલો
કરાંચી શહેરની જેલમાંથી 216 કેદીઓ ભાગી જવાની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઈ છે. રાત્રે કરાચીની માલીર જેલમાં ભૂકંપ પછી થયેલી અંધાધૂંધી દરમિયાન આ કેદીઓ ભાગી ગયા હતા. આ જેલ તોડવાની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને એક કેદીનું મોત નીપજ્યું છે. ગોળીબારમાં ઘણા જેલ ગાર્ડ્સ પણ ઘાયલ થયા છે. ઘટના બાદ કરાચીમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશનમાં પોલીસે 78 કેદીઓને પકડી લીધા છે. બાકીના લોકોની શોધ ચાલુ છે.

રાત્રે ભૂકંપના આંચકા બાદ કરાંચી અને આસપાસના શહેરોમાં ગભરાટ ફેલાયો હતો. દરમિયાન, માલીર જેલમાં, સુરક્ષા કારણોસર કેદીઓને બેરેકમાંથી બહાર કાઢીને જમીન પર લાવવામાં આવ્યા હતા. સાવચેતી રૂપે, કેદીઓને બેરેકમાંથી અસ્થાયી રૂપે બહાર કાઢવામાં આવ્યા હતા. આ કારણે, લગભગ 700 થી 1,000 કેદીઓ મુખ્ય દરવાજા પાસે ભેગા થયા હતા. આ દરમિયાન, કેટલાક કેદીઓએ અચાનક સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો અને તેમના હથિયારો છીનવી લીધા. આ કારણે, જેલની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી અને 216 કેદીઓ દરવાજો તોડીને ભાગી ગયા હતા.

રિપોર્ટ મુજબ, ભૂકંપના આંચકા પછી તમામ બેરેક ખુલવાથી થયેલી અંધાધૂંધી વચ્ચે, કેદીઓએ સુરક્ષા કર્મચારીઓના હથિયારો છીનવી લીધા અને ગોળીઓ ચલાવતા બળજબરીથી મુખ્ય દરવાજો ખોલી નાખ્યો અને ભાગી ગયા. સિંધના ગૃહમંત્રી ઝિયા ઉલ હસન લંજરે પુષ્ટિ આપી છે કે કેદીઓ મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા. જેલબ્રેક પછી કરાચીના ઘણા સોશિયલ યુઝર્સે પણ આવા વીડિયો શેર કર્યા હતા, જેમાં કેદીઓ કરાચીના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા.
જેલ બ્રેકની ઘટના પછી, રેન્જર્સ અને એફસી ટીમોએ કરાચી પોલીસ સાથે મળીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ અંતર્ગત, મંગળવારે સવાર સુધીમાં 78 કેદીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ કરાચીમાં અનેક ચેકપોઇન્ટ સ્થાપિત કરવામાં આવી હતી અને હાઇવે પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન ચાલુ છે.
કરાંચી ના વરિષ્ઠ પોલીસ અધિકારી કાશિફ અબ્બાસીએ જણાવ્યું હતું કે જેલમાંથી ભાગી ગયેલા 216 કેદીઓમાંથી કોઈ પણ આતંકવાદી તરીકે ગંભીર કેસ કે ટ્રાયલનો સામનો કરી રહ્યો નથી. 2013માં જ્યારે તાલિબાને ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં જેલ પર હુમલો કર્યો અને 200 કેદીઓને મુક્ત કર્યા ત્યારે પાકિસ્તાનમાં જેલોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમ છતાં, કરાચીમાં જેલ તોડવાનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.