ઓપરેશન સિંદૂરને ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ ગણાવતા સંબિત પાત્રા
ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદુરને ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ ગણાવ્યું હતું. સંબિત પાત્રાએ કહ્યું કે, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પહેલગામમાં 26 લોકોની હત્યાનો બદલો લીધો. આ સૈન્ય કાર્યવાહી વડાપ્રધાન મોદી ના નિવેદન ‘હમ ઘુસકે મારેંગે ઔર મિટ્ટી મેં મિલાયેંગે’ અનુસાર કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, આપણે ઓપરેશન સિંદૂરમાં બધા લક્ષ્યો પ્રાપ્ત કર્યા. આપણે 9 એવા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું ન હતું. સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. આપણે કોઈપણ નાગરિક સ્થાનને નિશાન બનાવ્યા વિના આતંકવાદીઓ સામે જડબાતોડ કાર્યવાહી કરી. સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ છે.
તેમણે જણાવ્યું કે, આ ઓપરેશનથી આખી દુનિયાએ ભારત સેનાની તાકાત જાણી છે. આપણે સાબિત કરી દીધું કે, આપણે દુશ્મન દેશની અંદર જઈને તેમનો નાશ કેવી રીતે કરી શકીએ છીએ.
વધુમાં જણાવ્યું કે, ભારતીય સેનાએ જે રીતે અદમ્ય હિંમત અને બહાદુરી બતાવી તે અદ્ભુત છે. આપણી સેનાએ આતંકવાદીઓના ઘરોમાં એટલી બધી તબાહી મચાવી કે તેઓ તેને ક્યારેય ભૂલી શકશે નહીં.