RSS પહેલેથી જ અનામતનું હિમાયતી : ભાગવત
જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અનામતમાં વધારો કરવો જોઈએ : સંઘે ક્યારેય કોઈને અનામત આપવાનો વિરોધ નથી કર્યો : કેટલાક લોકો નર્યું જૂઠ ફેલાવે છે
હાલના ચૂંટણીના માહોલમાં અનામતની ચર્ચા અને દાવા-પ્રતિદાવા થઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુપ્રિમો મોહન ભાગવતે ચોખવટ કરી છે કે સંઘ પહેલેથી જ બંધારણ મુજબ આપવામાં આવેલા અનામતનું હિમાયતી છે. તેમણે કહ્યું કે, સંઘ તો એવું માને છે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અનામત વધારવું જોઈએ. સંઘે ક્યારેય કોઈને અનામત આપવાનો વિરોધ કર્યો નથી પણ કેટલાક લોકો જુઠ્ઠા વિડીયો વાઈરલ કરી રહ્યા છે.
મોહન ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે વિરોધ પક્ષ એવો દાવો કરી રહ્યો છે કે જો ભાજપ ત્રીજી વાર સત્તા ઉપર આવશે તો બંધારણ બદલી નાખશે અને અનામત નીતિ પણ દુર કરશે.
રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે, ભાજપનો ઈરાદો બંધારણ બદલવાનો છે. બંધારણ બદલીને તે લોકતંત્રને નાબુદ કરવા માંગે છે અને દલિતો, પછાત વર્ગ અને આદિવાસીઓને અનામતની જોગવાઈ છીનવીને તેને અન્યાય કરવા માગે છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહે પણ કહ્યું હતું કે, ભાજપ બંધારણ બદલીને અનામત નીતિ ખતમ કરવા માગે છે. જો કે, ગૃહમંત્રી અમિત શાહે ચોખવટ કરી દીધી છે કે ભાજપ અનામત માં કોઈ ફેરફાર નહી કરે એ મોદીની ગેરેંટી છે.
તેલંગાણાના હૈદરાબાદમાં એક શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મોહન ભાગવતે કહ્યું કે, અનામત જરૂર હોય ત્યાં સુધી વધારી પણ દેવું જોઈએ. સંઘે ક્યારેય કોઈને અનામત આપવાનો વિરોધ કર્યો નથી પરંતુ કેટલાક લોકો ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે.