આ વર્ષે ગજ કેસરી યોગ તથા રોહિણી નક્ષત્રમાં અખાત્રીજ અને ગણેશ ચોથ મનાવવામાં આવશે:વણજોયું મુહૂર્ત, સોના-ચાંદી, જમીન,મકાન અને વાહન ખરીદી માટે શુભ
આ વર્ષે અખાત્રીજના દિવસે સાંજે ૭.૧૯ કલાક સુધી રોહિણી નક્ષત્ર છે તે ઉપરાંત ગોચરમાં ગુરુ-ચંદ્ર ની યુતિથી ગજ કેસરી યોગ થાય છે, શોભન નામનો યોગ છે.આથી આ વર્ષની અખાત્રીજ શુભ અને ઉત્તમ રહેશે
તે ઉપરાંત જ્યોતિષનાં નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે આ વર્ષે ગણેશ ચોથ પણ અખાત્રીજના દિવસે મનાવવામાં આવશે.બુધવારે બપોરના ૨.૧૧ કલાકે થી ચોથ તિથિ છે જ્યારે ગુરુવારે સવારનાં ૧૧.૨૩ કલાક સુધી જ ચોથ તિથિ હોવાનાં કારણે જ્યોતિષના નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે “ગણેશ ચોથ” બુધવારે મનાવવાની રહેશે
વર્ષમાં ચાર વણજોયા મુહૂર્તના શ્રેષ્ઠ દિવસો ગણવામાં આવે છે, જે બેસતુ વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા છે . આમ અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો હોવાથી આ દિવસે કરેલા કોઇપણ શુભકાર્યનું ફળ અખંડ રહે છે. આ દિવસે જપ, તપ, દાન કરવાથી તેના પુણ્યનો નાશ થતો નથી અને જીવનમાં શાંતિ મળે છે.
આ દિવસે નવા વાહનની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી, પુજા નો સામાન, જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવી, જમીન-મકાન વાહન ખરીદવા ઉત્તમ ફળદાયક છે. વાસ્તુ, નવચંડી હવન, લગ્ન, સગાઈ, ખાતમુહુર્ત. નવી દુકાનનું મુહૂર્ત કરવું. નવા વ્યાપારની શરૂઆત કરવી. જેવા દરેક શુભ કાર્યોી માટે આ દિવસે કોઇપણ ગ્રહબળ તથા ચંદ્રબળ જોવાની જરૂર રહેતી નથી.
આ દિવસ ધાર્મિક કાર્યો આ મુજબ કરવા જોઈએ
શાસ્ત્રી રાજદીપ જોશી(વેદાંતરત્ન)નાં જણાવ્યાં મુજબ,અખાત્રીજના દિવસે પાણી ભરેલ ઘડાનું દાન દેવું તથા ગાયોને ઘાસ નાખવું ઉત્તમ ફળ આપશે, અખાત્રીજના દિવસે કરેલ જપ, દાનનુ ફળ આજીવન મળે છે . તથા આ દિવસે શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી ૐ મહાલક્ષ્મી નમઃ અથવા તો શ્રી સૂક્તના પાઠ બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું. આથી ભગવાન પરશુરામની પૂજા કરવી ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે અને સપ્તા ચિરંજીવીમાંથી એક છે. આ દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. અખાત્રીજના દિવસથી ચારધામની યાત્રાનો પ્રારંભ થશે. અખાત્રીજનો આખો દિવસ દરેક શુભ કાર્ય માટે સારો છે. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનું જળથી પૂજન કરવું શાલીગ્રામ ઉપર ચોખ્ખું જળ ચડાવીને પૂજન કરવું તવા ભગવાન સત્યનારાયણની કથા કરવાથી જીવનમાં શાંતિ મળશે તથા આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પણ ઉત્તમ પુણ્યકારક ગણાય છે.
અખાત્રીજના દિવસના શુભ મુહૂર્તની યાદી
દિવસના શુભ ચોઘડિય.
લાભ ૬.૧૭ થી ૭.૫૪
અમૃત ૭.૫૪.થી ૯.૩૦
શુભ ૧૧.૦૭ થી ૧૨.૪૪
ચલ બોપોર ૩.૫૮ થી ૫.૩૫
લાભ સાંજે ૫.૩૫ થી ૭.૧૨
બપોરે અભિજીત મુહૂર્ત. ૧૨.૧૮ થી ૧.૧૦
રાત્રિના શુભ ચોઘડિયા
શુભ ૮.૩૫ થી ૯.૫૮
અમૃત ૯.૫૮ થી ૧૧.૨૧
સાંજે પ્રદોષ કાળનો શુભ સમય ૭.૧૨ થી. ૯.૨૩
30મી એપ્રિલથી ચાર ધામની યાત્રા શરૂ થશે
આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 30 એપ્રિલે ખુલશે. તે જ સમયે, કેદારનાથના દરવાજા 02 મેના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથના દરવાજા 04 મેના રોજ ખુલશે. ચારધામ યાત્રા અક્ષય તૃતીયાનાં દિવસે શરૂ થશે. ચારધામ યાત્રા કરવાથી સાધકને અચૂક ફળ મળે છે. આ વર્ષે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી ચારધામની યાત્રા માટે મોટી સંખ્યામાં ભાવિકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.