નાસિકમાં સ્થિતિ તંગ બનતા કર્ફ્યૂ, દેશવ્યાપી આંદોલનની ચીમકી, કૂલ 26 લોકોએ અત્યાર સુધી આપઘાત કર્યા
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે વધુ ઊગર બનેલું આંદોલન હવે હિંસક બન્યું છે અને નેતાઓ નિશાન પર આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફની કાફલામાં સામેલ કાર પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર મચાવી હતી. નાસિકમાં પથ્થરમારાની ઘટના બાદ કર્ફ્યૂ લાદી દેવાયો હતો. હિંસાની આગ વધુ ફેલાઈ છે અને 8 જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક બની હતી. વધુ 9 લોકોએ ગઇકાલ સુધી આત્મહત્યા કરી હતી. અત્યાર સુધીમાં કૂલ 26 લોકોએ આપઘાત કરી લીધા છે.
આજે સીએમ એકનાથ શિંદેએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી . જોકે આ વચ્ચે એવા પણ અહેવાલો છે કે ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાને આ બેઠકમાં ચર્ચા કરવા માટે આમંત્રણ નથી આપવામાં આવ્યું જેના લીધે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પણ ભડક્યાં હતાં.
બીજી બાજુ આંદોલનના નેતા મનોજ જરાંગે આ આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે સરકાર વિશેષ સત્ર બોલાવે અને અનામત અંગે જલદી નિર્ણય કરે નહીંતર તે જળનો પણ ત્યાગ કરશે. જોકે હવે સરકાર વિવાદને ટાળવા માટે વિશેષ સત્ર બોલાવીને મરાઠા અનામત પર વટહુકમ લાવે તેવી શક્યતા છે. બીજી બાજુ નાસિકમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી જેના પગલે કર્ફ્યૂ લાગુ કરાયો હતો.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે. આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે. ગઈકાલે વધુ 9 લોકે મરાઠા અનામતની માગ સાથે જીવન ટૂંકાવ્યું હતું. 19થી 31 ઓક્ટોબર વચ્ચે એટલે કે માત્ર 13 દિવસમાં આ સમુદાયના કુલ 26 લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે.