કેનેડા સ્થિત ગેંગસ્ટર આતંકવાદી કોને ઘોષિત કર્યો વાંચો
- મોહાલીમાં થયેલા રોકેટ હુમલામાં સંડોવણી હતી
પંજાબના તરનતારન જિલ્લાના જન્મેલા અને હાલમાં કેનેડાના એડમોન્ટનમાં રહેતા 33 વર્ષના ગેંગસ્ટર અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય લખબિર સિંહ લાંડાને ભારત સરકારે યુએપીએ કાનુન હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.મોહાલીમાં 2021માં પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ હેડ ક્વાર્ટર ઉપર થયેલા રોકેટ હુમલા સહિત અને આતંકવાદી કૃત્યો તેમજ હથિયારોની હેરાફેરીમાં લખબીર સિંહની સંડોવણી ખુલ્લી છે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં દાણચોરીથી આવતા હથિયારો અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ઉપકરણોના હેરફેર પર નજર રાખે છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, લાંડા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલને IED, અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે. અને ખંડણી, હત્યા, બ્લાસ્ટ, માદક દ્રવ્યોની દાણચોરી અને હથિયારોના ગેરકાયદેસર ધંધામાં સામેલ છે. 2021માં લાંડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે. લખબીર 2017માં ભારત છોડી કેનેડા ભાગી ગયો હતો.તે પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર હરવિંદર સિંઘ ઉર્ફે રિંડા તથા શીખ ફોર જસ્ટિસના વડા ગુરૂપત્વાન પન્નુમ અને કેનેડામાં માર્યા ગયેલા હરદીપ સિંહ નીજજર સાથે સબંધો ધરાવતો હોવાનું ખૂલ્યું છે.