એર લાઈન્સે ગોટે ચડાવ્યા ! ૪ નવી ફ્લાઈટ આપી તો દીધી, બુકિંગ જ શરૂ નથી કર્યું
વિન્ટર શેડ્યુલ'માં મુંબઈની વધુ ૩ અને દિલ્હીની ૧ ફ્લાઈટ આપી'ને એમ કહ્યું કે સોમવારથી જ સંચાલન શરૂ થઈ જશે: જેવી મુસાફરોએ ટિકિટ બુક કરવા પ્રયત્ન કર્યો કે થયું
ઠન ઠન ગોપાલ’: દિવાળીમાં પર ફરવા જનારા લોકોમાં નિરાશા
રાજકોટમાં ઈન્ટરનેશનલ (આમ તો હજુ સુધી ડૉમેસ્ટિક જ ગણાય છે) એરપોર્ટ શરૂ થયા બાદ લોકોમાં વધુમાં વધુ ફ્લાઈટનું સંચાલન અહીંથી થાય તેવી માંગણી ઉઠવા પામી હતી. બીજી બાજુ નવું એરપોર્ટ શરૂ થયા બાદ વધુ ફ્લાઈટ અહીંથી ઉડાન ભરી શકે અને ઉતરાણ કરી શકે તેવી વ્યવસ્થા થઈ જવા ઉપરાંત મુંબઈ-દિલ્હી તરફનો ટ્રાફિક વધુ રહેતો હોવાનું ધ્યાન પર લઈ એર લાઈન્સ દ્વારા તાજેતરમાં જ મુંબઈની વધુ ૩ અને દિલ્હીની વધુ ૧ ફ્લાઈટ `વિન્ટર શેડ્યુલ’ અંતર્ગત જાહેર કરવામાં આવી હતી. આ સાથે જ એવું પણ જાહેર કરાયું હતું કે નવી ફ્લાઈટનું સંચાલન તા.૩૦ ઑક્ટોબરથી મતલબ કે સોમવારથી જ શરૂ કરી દેવામાં આવશે. જો કે વાસ્તવિક્તા કંઈક અલગ જ હોય તેવી રીતે ૭ નવેમ્બર સુધી બુકિંગના કોઈ જ ઠેકાણા ન હોવાથી મુસાફરો રીતસરના ગોટે ચડી ગયા છે.
દિવાળીનો તહેવાર હોવાથી મુસાફરોએ જેવી નવી ફ્લાઈટ શરૂ થઈ કે તુરંત જ બુકિંગ કરવા માટે પ્રયત્ન શરૂ કરી દીધો હતો. જો કે બુકિંગ માટે તેમને ફ્લાઈટ જ જોવા ન મળતાં મુંઝવણમાં મુકાઈ ગયા હતા. આ અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવતાં એવો ખુલાસો થયો હતો કે નવી ફ્લાઈટનું સંચાલન ૭ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. હવે ૭ નવેમ્બરથી જ ફ્લાઈટ શરૂ કરવાની હતી તો પછી શા માટે ૩૦ ઑક્ટોબરથી ફ્લાઈટ શરૂ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હશે ?
૭ નવેમ્બર પછી રાજકોટથી મુંબઈની આટલી ફ્લાઈટ મળશે
ફ્લાઈટ સમય
એર ઈન્ડિયા ૮:૪૫
એર ઈન્ડિયા ૬:૦૫
ઈન્ડીગો ૯:૦૫
ઈન્ડીગો ૧૨:૩૦
ઈન્ડીગો ૭:૨૦
દિલ્હીની નવી ફ્લાઈટના ૧૪ નવેમ્બર સુધી ઠેકાણા નથી
જાણવા મળેલી વિગતો પ્રમાણે વિન્ટર શેડ્યુલમાં દિલ્હીની વધુ એક ફ્લાઈટ ફાળવવામાં આવી હતી પરંતુ નવી ફ્લાઈટના ૧૪ નવેમ્બર સુધી કોઈ જ ઠેકાણા નહીં હોવાનું ખુલ્યું છે. ૧૪ નવેમ્બર સુધી સાંજે ૫:૪૫ અને સવારે ૮:૦૫ વાગ્યાની જ ફ્લાઈટ જ ઉપલબ્ધ બતાવી રહી છે.