‘પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ : સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનીંગ દરમિયાન ધક્કામુક્કીમાં મહિલાનાં મોત મામલે કાર્યવાહી
‘પુષ્પા 2ના અભિનેતા અલ્લુ અર્જુનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની મહિલાનું મોત થયું હતું. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની એક ટીમ હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અલ્લુ અર્જુનના ઘરે પહોંચી અને તેની અટકાયત કરી. પોલીસે કહ્યું કે તેને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો ??
પોલીસ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ અલ્લુ અર્જુન રાત્રે લગભગ 9.30 વાગે પોતાના અંગત સુરક્ષા કર્મચારીઓ સાથે થિયેટરમાં પહોંચ્યો હતો. જ્યારે સેંકડો લોકો તેમની એક ઝલક મેળવવા માટે કેમ્પસમાં ઉમટી પડ્યા હતા, ત્યારે તેમની સુરક્ષા ટીમે ભીડને ધક્કો મારવાનું શરૂ કર્યું હતું, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. અભિનેતા અને તેની સુરક્ષા ટીમ ભીડ સાથે થિયેટરની નીચેની બાલ્કની વિસ્તારમાં પ્રવેશી હતી ત્યારે રેવતી અને તેના પુત્રને આમાં ગૂંગળામણ અનુભવાઈ. પોલીસ કર્મચારીઓએ તેમને ભીડમાંથી બહાર કાઢ્યા અને તેમના પુત્રને CPR આપ્યું અને તરત જ નજીકની દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બાદમાં ડોક્ટરે જણાવ્યું કે મહિલાનું મૃત્યુ થયું છે અને પુત્રને સારી સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી છે.
મહિલાના પુત્ર તેજાની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને તેની સારવાર ચાલી રહી છે. દિલસુખનગરમાં રહેતી મહિલાના પરિવારે થિયેટર મેનેજમેન્ટ પાસે જવાબદારીની માંગ કરી છે અને ઘટના અંગે અભિનેતા પાસેથી જવાબ માંગ્યો છે. તેણે અલ્લુ અર્જુનને પણ મદદ કરવાની માંગ કરી છે. પોલીસે જણાવ્યું કે મહિલાના પરિવારની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.