તહેવારોમાં સ્વદેશી વસ્તુ ખરીદવાની વડાપ્રધાનની મન કી બાતમાં અપીલ
ગુજરાતનાં યાત્રાધામ અંબાજી મંદિર વિષે મહત્વની વાત કરી મૂર્તિઓની ખાસિયત બતાવી
વડાપ્રધાન મોદીનો 106મો ‘મન કી બાત’ કાર્યક્રમ હતો જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં તહેવારોને લઈને ઉત્સાહ છે અને આગામી તહેવારો માટે હું દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આ ઉપરાંત તેમણે તહેવારો પર માત્ર સ્વદેશી સમાન ખરીદવાની અપીલ કરી હતી.
મોદીએ કહ્યું હતું કે ગાંધી જયંતિના અવસરે દિલ્હીમાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું છે તે વોકલ ફોર લોકલ અભિયાનની તાકાત છે. આ ઉપરાંત વડાપ્રધાને તહેવારો પર માત્ર સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ પણ કરી હતી જેથી તમામ દેશવાસીઓ તેનો લાભ મળી શકે.
આ સિવાય મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે 580થી વધુ રજવાડાઓને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 31મી ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે.
દરમિયાનમાં મોદીએ કહ્યું કે, તમે બધાએ ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર વિશે સાંભળ્યું જ હશે. અહીં ગબ્બર પર્વત તરફ જવાના માર્ગમાં તમને વિવિધ પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની મૂર્તિઓ જોવા મળશે. શું તમે જાણો છો આ મૂર્તિઓમાં શું ખાસ છે? વાસ્તવમાં આ જંકમાંથી બનેલા શિલ્પો છે, જે ખૂબ જ અદભૂત છે. અંબાજી શક્તિપીઠ ખાતે દેવી માતાના દર્શનની સાથે સાથે આ પ્રતિમાઓ પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.