ભીલવાસનું કતલખાનું રાજકોટ શહેરથી દૂર લઈ જવા તૈયારી : ગેરકાયદે ધમધમતાં કતલખાના ઉપર આરોગ્ય-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તૂટી પડશે
રાજકોટમાં છેલ્લા ચારેક દાયકાથી સદર બજારના ભીલવાસમાં કતલખાનું ધમધમી રહ્યું છે. જો કે આખા દિવસ દરમિયાન અહીંથી હજારો લોકો અવર-જવર કરતાં હોય અહીંની દૂર્ગંધ તેમજ ઉબકા થઈ જાય તેવી સ્થિતિ જોઈને લોકો આ કતલખાનાને શહેરની બહાર લઈ જવા માટે વારંવાર માંગ કરી રહ્યા હોય આખરે શાસકો દ્વારા આ કતલખાનાને સ્થળાંતરિત કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, આરોગ્ય કમિટી ચેરમેન કેતન પટેલ, ડેપ્યુટી કલેક્ટર કિર્તન રાઠોડ, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઈજનેર, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી સહિતના વચ્ચે એક બેઠક મળી હતી જેમાં આ મુદ્દો ચર્ચાયો હતો.

સ્ટે.કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભીલવાસનું કતલખાનું હવે શહેરની વચ્ચોવચ્ચ આવી ગયું હોવાને કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે સાથે સાથે અહીં અનેક પ્રકારની સમસ્યાઓ પણ નડતરરૂપ થઈ રહી હોવાથી તેને શહેરથી દૂર લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે એક પ્લોટની માંગ કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ પ્લોટની ખરાઈ થઈ ગયા બાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત આવશે.
આ પણ વાંચો : રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB ? વાંચો શું છે સમગ્ર મામલો
આ ઉપરાંત શહેરમાં ઠેકઠેકાણે ધમધમતાં ગેરકાયદેસર કતલખાના ઉપર આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઈવ કરી ચેકિંગ કરવામાં આવશે અને આવા કતલખાનાને તુરંત જ બંધ પણ કરાવવામાં આવશે. જ્યારે મોચીબજારમાં માત્ર મચ્છીમાર્કેટને જ ફિશરીઝ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવી ઉમેર્યું હતું કે જો અહીં ગેરકાયદેસર કતલખાના ધમધમતા હશે તો તેને તુરંત જ બંધ કરાવવામાં આવશે.