પૂજા ખેડકરની આઇએએસ નોકરી સમાપ્ત
યુપીએસસીએ નકલી દસ્તાવેજો બારામાં સખત ફેસલો કર્યો
વિવાદાસ્પદ ટ્રેઇની આઇએએસ અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આયોગે પૂજા ખેડકરનું આઇએએસ પદ છીનવી લીધું છે અને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોગે ખુદ આ માહિતી આપી હતી.
આયોગે જણાવ્યું કે, સિવિલ સર્વિસ પરીક્ષા-2022 (CSE-2022) માટે કામચલાઉ ભલામણ કરાયેલ ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
યુપીએસસીએ આ અંગેનો સંકેત અગાઉથી જ આપી દીધો હતો. યુપીએસસીનું કહેવું હતું કે, જો પૂજા ખેડકર પર લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. પૂજા ખેડકરને આ અંગે કારણ જણાવો નોટિસ ફટકારી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે, કેમ પૂજા ખેડકરની સિવિલ સર્વિસ પરીક્ષા-2022ની ઉમેદવારીને રદ કરવામાં ન આવે?
યુપીએસસીએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે, પૂજા ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેનો ફોટો, સહી, ઈમેલ આઇડી, મોબાઇલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખેડકરે ફ્રોડ કરીને પરીક્ષા આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.