ઉત્તર પ્રદેશમાં આજે નવ બેઠકો પરમતદાન: યોગીની પ્રતિષ્ઠા દાવ પર
ઉત્તર પ્રદેશ વિધાનસભાની નવ બેઠકો માટે આજે મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના રકાસ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગેલી છે.
આજે જ્યાં મતદાન થવાનું છે એ બેઠકોમાંથી 2019 માંથી પાંચ બેઠકો પર ભાજપ અને તેના સહયોગી પક્ષોના ઉમેદવારો વિજયી થયા હતા.ગાઝિયાબાદ, ખૈર અને ફૂલ્પુર ની બેઠક ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા.તેના સાથી પક્ષ રાલોદને મીરપુર અને નિષાદ પાર્ટી ને મઝવાંની બેઠકો મળી હતી.જ્યારે કુંદરક, ક્ટેહરી, કરહલ અને સિસામઉ ની બેઠકો સમાજવાદી પાર્ટીએ કબજે કરી હતી.
આ બેઠકોમાંથી સીસમાઉ, કુંદરક અને મીરપુરની બેઠકો પર મુસ્લિમ મતદારો પરિણામ નક્કી કરે છે.જ્યારે એક બેઠક પર મુસ્લિમો ઓબીસી અને અનુસૂચિત જાતિનું સમાન સંખ્યા બળ છે.ચાર બેઠકો પર ઓબીસી અને એક બેઠક પર સવર્ણોની નિર્ણાયક બહુમતી છે. સમગ્રપણે જોતા મુસ્લિમ અને ઓબીસી મતદારો આ બેઠકોના પરિણામમાં નિર્ણાયક સાબિત થશે. ભાજપના આક્રમક હિન્દુવાદી પ્રચારને કારણે મુસ્લિમ મતોનું એક તરફી ધ્રુવીકરણ થવાની સંભાવના છે.
લોકસભાની ચૂંટણીમાં લાગેલી પછડાટ બાદ ભાજપે આ પેટા ચૂંટણીમાં તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. યોગીનું બટોગે તો કાટોગે સૂત્ર હિંદુ મતોનું ધ્રુવીકરણ કરશે તેવી ભાજપને આશા છે.બીજી તરફ અખિલેશ યાદવે લોકસભામાં કારગર સાબિત થયેલી પીડીએ એટલે કે પછાત,દલિત,અલ્પસંખ્યકની રણનીતિ પર વિશ્વાસ રાખ્યો છે.માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને ચંદ્રશેખર આઝાદ ની પાર્ટીના ઉમેદવારોએ પણ તમામ બેઠકો પર ઝંપલાવ્યું છે પણ મુખ્ય જંગ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનો છે.આ પેટા ચૂંટણીનું મહત્વ એટલું છે કે મુખ્ય મંત્રી યોગી અને અખિલેશ યાદવ બન્ને એ દરેક વિધાનસભા મતક્ષેત્રમાં
બે બે વખત સભાઓ કરી હતી.યોગીએ ચૂંટણીની જાહેરાત પહેલાં પણ આ બેઠકોની મુલાકાતો લઈ અનેક જનકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી.
આજે પંજાબ અને કેરળમાં પણ પેટાચૂંટણી માટે મતદાન
આજે કેરળની પલક્કડ બેઠક માટે અને પંજાબની દેરા નાનક, ચાબેવાલા,ગિદ્રબહા,અને બરનાલા બેઠક ઉપર પણ મતદાન થશે.મૂળભૂત રીતે આ બધી બેઠકો પર 13 મી તારીખે મતદાન થવાનું હતું.પણ એ દિવસોમાં ધાર્મિક તહેવારો હોવાને કારણે રાજકીય પક્ષોની માંગણીને માન આપીને ચૂંટણી પંચે તારીખ બદલાવી હતી.